આણંદ જિલ્લાના બોરસદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આણંદના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ટેલિફોનિક વાતચીત કરી પુર અસરગ્રસ્ત સ્થિતિનો તાગ મેળવ્યો
NDRF અને SDRF સહિતની મદદ માટેની આપી ખાતરી
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં છેલ્લા ર૪ કલાકમાં ત્રાટકેલા ૧ર ઇંચ જેટલા તોફાની વરસાદને પગલે અનેક સ્થળોએ લોકોને હેરાનગતિના પૂર ઉમટ્યા હતા. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સંપૂર્ણ ચિતાર મેળવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત સીસ્વા ગામની સ્થિતી, નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ જાન-માલ અને પશુઓની સલામતી અંગેની પણ વિગતો જાણી હતી. વધુમાં આણંદ જિલ્લાના બોરસદમાં અનરાધાર વરસાદને પગલે ગામોમાં વીજ પુરવઠાને અસર પહોચી છે ત્યાં સત્વરે પુરવઠો પૂન: પ્રસ્થાપિત કરવાની કામગીરી તથા માર્ગો પર પડી ગયેલાં વૃક્ષો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેની માહિતી મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર દક્ષિણી પાસેથી મેળવી હતી.
નુકસાનગ્રસ્તોને સત્વરે સહાઈ ચુકવવા સુચના
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લામાં બોરસદ અને આસપાસના ગામોમાં વરસાદને કારણે ફસાયેલા લોકોની મદદ માટે NDRFની એક ટુકડી વડોદરાથી આવી છે અને બચાવ રાહત કાર્યોમાં જોડાઇ છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે આ ભારે વરસાદથી બોરસદ તાલુકામાં એક માનવ મૃત્યુ તેમજ ૯૦ જેટલા પશુઓના મૃત્યુ થયા છે તેની જાણકારી જિલ્લા કલેકટર પાસેથી મેળવી હતી અને આ સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે નિયમાનુસારની મૃત્યુ સહાય ઝડપથી ચુકવાઇ જાય તે માટેની સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ સાથો સાથ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રને પણ દવા છંટકાવ સહિતની આરોગ્યલક્ષી કામગીરી માટે તૈનાત રહેવા સુચનો કર્યા હતા. એટલું જ નહિ કાચા-પાકા ઝૂંપડા, મકાનોને નુકસાનના સર્વે સત્વરે હાથ ધરવા અને કેશડોલ્સ ચુકવણી સહિતની બાબતોની માહિતી આપી હતી.
સ્થળાંતર કરેલા લોકોની ભોજન સહિતની વ્યવસ્થાનો મુખ્યમંત્રીએ મેળવ્યો તાગ
જે ગ્રામજનો પોતાની ઘરવખરી સલામત સ્થળે લઇ જવા ઇચ્છતા હોય તેમને જિલ્લા વહિવટી તંત્ર તરફથી શ્રમિકો વાહન વગેરેનો પ્રબંધ કરી આપવા પણ જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું અને સ્થળાંતર કરેલા લોકોને ભોજન સહિતની વ્યવસ્થાનો પણ તાગ મેળવ્યો હતો. જિલ્લામાં જરૂરિયાત જણાયે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વધુ NDRF, SDRF ટિમો મોકલવા સહિતની બધી જ મદદ માટે પણ જણાવ્યુ હતું. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરાઈ છે તે સંદર્ભમાં પણ જિલ્લા પ્રશાસનને વધુ સતર્ક રહેવા અંતમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.