આર્થિક સંકટોમાંથી પસાર થઇ રહેલી દેશની પ્રથમ પ્રાઈવેટ એરલાઈન્સ જેટ એરવેઝે બુધવારે અચોક્કસ મુદતથી તમામ ફલાઈટ્સ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જેટ એરવેઝ છેલ્લા સાત વર્ષમાં બંધ થનારી છઠ્ઠી અને બીજી મોટી એરલાઈન છે.
2012માં માલ્યાની કિંગફિશર એલાઈન્સ બંધ થઈ હતી. બાદમાં એર પેગસસ, એસ કોસ્ટા, એર કાર્નિવલ અને ઝૂમ એરને ઓપરેશન્સ બંધ કરવા પડ્યા હતા. જેટનું ઓપરેશન બંધ થયા બાદ લગભગ 20,000 કર્મચારીઓ અને મેનેજમેન્ટના ભવિષ્ય પર સંકટ સર્જાયું છે. કર્મચારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની રોજગારી બચાવવા માટે અપીલ કરી છે.
- એરલાઈનના પાયલટ્સ અને એન્જિનિયર્સને ઓગસ્ટ 2018થી ટુકડામાં વેતન મળી રહ્યું હતું. છેલ્લા ત્રણ મહીનાની સેલેરીની ચૂકવણી બાકી છે. એવી આશા હતી કે એરલાઈનને બેંકો પાસેથી 1500 કરોડ રૂપિયા મળશે તો થોડી રાહત મળશે પરંતુ લેન્ડર્સે ફન્ડ આપવાની વાતને ઠુકરાવી દીધી હતી.
- જેટના પાયલટ્સે પ્રધાનમંત્રી મોદીને નોકરીઓ બચાવવા માટે વિનંતી કરી હતી. SBIને પણ ફન્ડ ઈસ્યુ કરવાની અપીલ કરવામાં આવી હતી. લગભગ 12 મહીનાથી કર્મચારીઓ હેરાનગતિનો સામનો કરી રહ્યાં છે. મિડિયા રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે એરલાઈને કોસ્ટ કટિંગ અંતર્ગત કર્મચારીઓને 25 % સેલેરી ઓછી કરવા માટે કહ્યું હતું, પરંતુ તે માન્ય ન હતા. હાલ એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે કર્મચારીઓ લોનના હપ્તા ભરવા માટે ઘરેણાં ગીરવે મૂકવા મજબૂર થયા છે.
ઘણાં કર્મચારીઓ 25-30 % ઓછી સેલેરીમાં બીજી એરલાઈન્સ જોઈને કરવા તૈયાર છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જેટના સંકટ બાદ 400 પાયલટ્સ નોકરી છોડી ચૂક્યા છે. હાલ જેટની પાસે 1,300 પાયલટ છે.