બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે થયેલાં કૌભાંડ બાદ ગુજરાતના તટસ્થ મીડિયા તરીકે VTV ગુજરાતના લાખો વિદ્યાર્થીઓની વાહરે આવી છે અને નીચે મુજબનો ખુલ્લો પત્ર લખ્યો છે.
માનનીય અધ્યક્ષશ્રી
અસિત વોરા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જય ભારત સાથ જણાવવાનું કે ગાંધીનગર ખાતે આપ કુશળ મંગલ હશો. જો કે અમે પણ કુશળ મંગળ થવાનું વિચારી રહ્યા છીએ પરંતુ આપના વડપણ હેઠળ ચાલી રહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કારનામાઓ ટીવી અને છાપામાં વાંચી-વાંચીને હું આપ અને સરકાર પરથી સત્યતા અને ભ્રષ્ટાચાર મુક્ત વિભાગનો વિશ્વાસ ખોઈ બેઠો છું. હજુ LRD (લોક રક્ષક દળ)ની પરીક્ષાના પેપર લીક થયાની તપાસ ચાલી રહી છે, તલાટીની પરીક્ષાઓમાં ગેરરિતીઓ થઈ તેની સાબિતીઓ થઈ રહી છે ત્યાં ફરી આપના વડપણ હેઠળ નવું કૌભાંડ થયાના એંધાણ દેખાઈ રહ્યા છે. 17મી નવેમ્બર 2019ના રોજ મહામેહનતે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં ખુલ્લેઆમ ગેરરીતિ થયાના CCTV વીડિયો સામે આવ્યા છે. જો કે આપે તો પત્રકાર પરીષદ કરી કહી દીધું કે અમે તપાસ કરીશું, પરંતુ અસિતભાઈ આમાં કોઈ તપાસ કરવાં જેવું છે જ નહીં સ્પષ્ટ આ વીડિયોમાં ગેરરીતિ દેખાઈ રહી છે. માની લઈએ કે આપની તપાસ બાદ જે તે ગેરરીતિ કરનાર વિદ્યાર્થી અને સુપરવાઈઝરને આપ દંડિત કરશો પણ મારા જેવાં લાખો સામાન્ય વિદ્યાર્થીઓનું શું કે જે પણ આનો ભોગ બન્યા હશે.
સાહેબ હું આપને પૂછવા માંગુ છું કે અસિતભાઈ આ સરકારી પરીક્ષાઓ કૌભાંડો કરવા લેવાય છે કે અમારા જેવા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે. જો આપના વડપણ હેઠળની ટીમ અને રાજ્ય સરકાર કે જે વિદ્યાર્થી સાથે માત્ર વાતોથી કટિબદ્ધ છે તે ભ્રષ્ટાચારી અને લાગવાગીયાઓનું કલ્યાણ કરવાનું વિચારી રહી છે કે પછી અમારા જેવા મહેનતું વિદ્યાર્થીઓનું કલ્યાણ કરવાનું. જો કે આજની ઘટના લગભગ વિવિધ સરકારી પરીક્ષાના કૌભાંડની 5મી કે 6ઠ્ઠી ઘટના હશે. અને આપ માત્ર તપાસ કરી રહ્યા છીએ, આદેશો આપ્યા છે એવી વાતો કરો છો.કશું કરવાના છો કે પછી આમ જ થોડા દિવસોમાં ઘટના ભૂલવાડી દેશો.
જો તમને મારા દિલની વાત કરી દઉં, જ્યારે હું આ સરકારી પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂઆત કરી ત્યારે મારા શિક્ષકો મને કહેતાં બેટા મહેનત કર અને સ્વાભિમાનથી પરીક્ષા પાસ કર એટલે સારો અધિકારી બની જઈશ. પણ આજથી અને આજ ઘડીથી હું આ વિચાર છોડી રહ્યો છું કે આવું કંઈ મહેનત કરવાથી કે સ્વાભિમાન રાખવાથી આપનો વિભાગ અને આપની સરકાર નોકરી આપવાની નથી. અમારે ભ્રષ્ટાચાર કરવો પડશે અને કંઈક નિશ્ચિત 10-12 લાખ રૂપિયા આપવા પડશે અને પછી જ અધિકારી બનીશું એવું લાગી રહ્યું છે.
અસિતભાઈ મને ખબર નથી કે આપના સંતાનો કે પછી આપના પરિવારના કોઈ સભ્યએ ગૌણ સેવા પસંદગી મંડળ કે સરકારી કોઈ પરીક્ષા આપી છે કે નહીં. પરંતુ જો આપના સંતાનોએ આ પરીક્ષાઓ આપી હોત અને આવા કૌભાંડો થાય અને તમારા સંતાને દિવસ રાત એક કરી મહેનત કરી હોય અને પછી વારો જ ન આવે તો તમને કેટલું દુઃખ થાત. આજ દુઃખ આજે મારા વાલીને થઈ રહ્યું છે. જો તમે કંઈક એક્શન મોડમાં હોવ તો અમારા ઉજ્જવળ ભવિષ્ય વિશે માત્ર વાતો જ નહીં પરંતુ કંઈ કામ પણ કરજો. કારણ આપ તો કથિત પ્રજાના સેવક છો એવું મને આ બધી ઘટનાથી લાગી રહ્યું છે.