ઓફિસની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું
ફૂડ એક્સપોર્ટના NOC માટે લાંચની કરી હતી માંગણી
રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. અધિકારીએ ચોથા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત
મળતી માહિતી અનુસાર, રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. હાલ તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 25, 2023
શું છે સમગ્ર મામલો?
રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇને રૂપિયા 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા.
ફોરેન ટ્રેડના જવરીમલ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.5 લાખ આપવાનું પણ વેપારીને કહેવાયું હતું. વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં અરજી કરી હતી. જેથી સીબીઆઈએ ગુનો દાખલ કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાંથી પ્રથમ હપ્તા પેટે ફરિયાદી 5 લાખ રૂપિયા આપવા પહોંચ્યા હતા. જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારતા જ CBIની ટીમ પહોંચી ગઈ હતી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.