ગાંધીનગર: રાજ્યમાં તલાટીઓની હડતાળનો બીજો દિવસ છે. ત્યારે અગિયાર હજાર તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. પડતર માંગણીઓ પર સરકારે કોઈ પ્રતિક્રિયા નહિં આપતા તેઓએ હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી છે. માંગણીઓ નહિં સંતોષાય ત્યાં સુધી તલાટીઓની આ હડતાળ ચાલુ રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.
તલાટીઓની માંગ મુજબ જૂની પેન્શન યોજના પંચાયત અને મહેસૂલના જોબચાર્ટ એક તલાટીને એક ગામ સોંપવુ સહિતની એવી અનેક માંગો છે જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
તલાટી મહામંડળે એવું પણ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ ન માત્ર હડતાળ કરશે પરંતુ સરદાર એકતાયાત્રાથી પણ અળગા રહેશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટિના કાર્યક્રમને પણ સહકાર નહીં આપે. આ મામલે મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે તલાટીઓની ઓડિટર માંગણીઓ બાબતે સરકાર સામે અનેકવખત રજુઆત કરી છે.
વધુમાં તેમણે કહ્યું કે સર્કલ ઇન્સ્પેકટરની પોસ્ટ અપગ્રેડ કરી અમલવારીમાં નાણાકીય લાભ થતો નથી. જૂની પેન્શન યોજના શરૂ કરવી. પંચાયત અને મહેસુલ ના જોબચાર્ટ યોગ્ય કરવામાં આવે.
એક તલાટી એક ગામ સોંપવામાં આવે. સરકારની તમામ પ્રકારની કામગીરી ખોરવાશે. ત્યારે આજે હડતાલના બીજા દિવસે પણ 11 હજાર તલાટીઓ કામકાજથી અળગા રહ્યા છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે સરકાર કોઇ નિર્ણય લે છે કે નહી.