સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી છે. આ મામલે વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે.
અંબાજી મંદિરમાં મોહનથાળને લઇ ફરી બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે બેઠક
મોહનથાળ ચાલુ રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરાશે
મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા થયો છે વિવાદ
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. મંદિરના મુખ્ય પૂજારીએ દેવાંગ ઠાકરે પણ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ત્યારે આ મામલે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે.
વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બોલાવી બેઠક
અંબાજી મોહનથાળ મુદ્દે આજે બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં મોહનથાળ ચાલુ રાખવો કે નહીં તે અંગે નિર્ણય કરાશે. સરકાર સમગ્ર મામલે મધ્યસ્થી કરી શકે છે. મહત્વનું છે કે, દેશ-વિદેશના ભક્તોની આસ્થા સાથે સંકળાયેલા અંબાજી મંદિરમાં અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરાતાં માઈભક્તો રોષે ભરાયા છે.
વિશ્વ હિન્દુ પરિષદ આક્રમક મૂડમાં
અંબાજી મંદિરમાં 4 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું છે. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
જેમાં જિલ્લામાં કોઈ પણ સરકારી મિલ્કતમાં ધરણાં, વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તેમજ ડીજે સાઉન્ડ માઈક અને કોઈ પણ પ્રકારનાં સાઉન્ડ સિસ્ટમ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાં ભંગ કરનારને સીધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં તેની સામે આઈ પી. સી. ક.188,135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમજ અંબાજી મંદિરના 7 નંબર ગેટ પર પણ જાહેરનામાની નોટિસ લગાવવામાં આવી છે. ત્યારે આ જાહેરનામું 10/03/2023થી 24/03/2023 સુધી લાગુ રહેશે.
મુખ્ય પૂજારીએ સરકારના નિર્ણયને ગણાવ્યો હતો યોગ્ય
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે, ત્યારે . મંદિરના મુખ્ય પૂજારીએ દેવાંગ ઠાકરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. મોહનથાળ બંધ કરવાથી કોઈ પરંપરા તૂટી ન હોવાનો દાવો મંદિરના મુખ્ય પૂજારીએ કર્યો છે. મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે જણાવ્યું હતું કે મોહનથાળ એ માત્ર મીઠાઈ છે, મંદિરનો રાજભોગ નથી. અંબાજી મંદિરમાં મોહનથાળનો માત્ર મીઠાઈ તરીકે ઉપયોગ થાય છે. 1960માં અંબાજી મંદિર સરકાર હસ્તક આવ્યું. અગાઉ અહીં જે ભક્તો આવતા હતા તેમને ભેટ સ્વરૂપે ચૂંદડી આપવામાં આવતી હતી, લોકોના ધસારાને જોઈને સરકારે નિર્ણય બદલીને મોહનથાળ આપવાનું શરૂ કર્યું. જે દર્શનાર્થી મંદિરમાં ભેટ લખાવે તેને મોહનથાળ આપવામાં આવે છે.
અઠવાડિયે એકવાર ધરાવાય છે મોહનથાળઃ પૂજારી
મંદિરના પૂજારીએ જણાવ્યું કે, અમે દાંતા સ્ટેટ વખતથી પૂજા-અર્ચના કરીએ છીએ. સવારે માતાજીને સોજીનો શિરો ધરાવવામાં આવે છે. જેને આરતી પછી ભક્તોમાં વેચી દેવામાં આવે છે. બપોરે માતાજીને દરરોજ જુદો-જુદો રાજભોગ ધરાવવામાં આવે છે, મોહનથાળ અઠવાડિયામાં એક જ વખત ધરાવવામાં આવે છે. સાંજે માતાજીને દૂધ, ફ્રૂટ અને મગજનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ પ્રસાદી પણ ભક્તોમાં વહેચી દેવામાં આવે છે.