રાજ્યમાં કોરોનાના કેસ વધતા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, જાહેર સભા-શાકોત્સવ મોકૂફ રખાયા
રાજ્યમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટો નિર્ણય
આગામી કાર્યક્રમો રદ કરવા કરી જાહેરાત
કહેવાય છેને ચમત્કાર વિના નમસ્કાર નહી. આ ઉક્તિ ગુજરાતમાં બરોબર લાગુ પડે છે. કોરોનાકાળ હજી પૂર્ણ થયો નથી તેમ છતાં લોકો બેફામ થઇને ફરે છે. કોરોનાનો કોઇને ડર હોય તેમ લાગતુ નથી. પરંતુ છેલ્લા 5 દિવસથી જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા હવે લોકોમાં ચોક્કસથી ડર જોવા મળી રહ્યો છે. સરકાર તો પ્રજાહિતમાં નિર્ણયો લઇ રહી છે પરંતુ કેટલીક સંસ્થાઓએ સમજદારી દાખવીને જાહેર કાર્યક્રમો બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વધતા કોરોના સંક્રમણને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદે આગામી સમયમાં યોજાનાર સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે.
શાકોત્સવ-સભાઓ મોકૂફ
અમદાવાદ, સુરત સહિત તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. આવા સમયમાં હવે તો ઘરમાં રહેવામાં જ સમજદારી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ પ્રજાની સુખાકારીને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. સ્વામિનારાયણ મંદિરોમાં શિયાળામાં શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે તે હવે મોકૂફ કરવામાં આવ્યુ છે તો બીજી તરફ મંદિરોમાં સભાનું આયોજન કરવામાં આવે છે તેને પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4213 કેસ
ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. ગુરુવારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે. ગુરુવારે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમજદારીમાં જ શાણપણ
કોરોના વકરી રહ્યો છે, હવે તો કાળજી અને સાવચેતી રાખવામાં જ સમજદારી છે. સરકાર પ્રજાના હિતમાં નિર્ણયો લેશે પરંતુ સાવચેતી તો આપણે જ રાખવાની છે. આપણે જેટલા સાવચેત રહીશુ તેટલુ આપણે કોરોનાને આપણાથી દૂર રાખી શકીશું.