વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફૂટ આઇકોનિક બ્રિજનું ઉદ્ઘાટન કરાશે : સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાની શક્યતા
અમદાવાદનું નવુ આકર્ષણ આઇકોનિક બ્રિજ
પીએમ મોદી દ્વારા ફૂટ ઓવરબ્રિજનું કરાશે ઉદ્ઘાટન
તંત્ર દ્વારા પ્રવેશ માટે લેવાઇ શકે છે ફી
સાબરમતી નદી પરનો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ અત્યારથી હજારો અમદાવાદીઓને આકર્ષી રહ્યો હોઈ તે લોકો માટે સેલ્ફી પોઇન્ટ પણ બન્યો છે. રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાને પૂ્ર્વ કાંઠા સાથે જોડનારા આ નયનરમ્ય બ્રિજને અન્ય રિવરબ્રિજ પરથી નિહાળીને નાગરિકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. જોકે આ ફૂટ ઓવરબ્રિજની રોનક માણવા માટે મુલાકાતીઓએ એન્ટ્રી ફી ચૂકવવી પડશે. હાલમાં વ્યક્તિદીઠ રૂ. 20થી 50ની એન્ટ્રી ફી લેવાશે તેવી શક્યતા ચર્ચાઈ રહી છે. મ્યુનિ. તંત્ર દ્વારા સાબરમદી નદીની સુંદરતામાં વધારો કરવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. આ ફૂટ ઓવરબ્રિજના નિર્માણ પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. 71.30 કરોડ ખર્ચાયા છે.
લોકોને કલાકથી દોઢ કલાક સુધીનો સમય અપાશે
ફૂટ ઓવરબ્રિજમાં એક વખત રૂ. 20થી 50ની એન્ટ્રી ફી ચૂકવીને ત્યાં પ્રવેશ લીધા બાદ અમર્યાદિત સમય સુધી મુલાકાતીઓ રોકાઈ નહીં શકે, એન્ટ્રી લીધાના એક કલાક કે મહત્તમ દોઢ કલાકમાં તેમને ફૂટ ઓવરબ્રિજની બહાર નીકળવું પડશે એટલે નિશ્ચિત સમયગાળા સુધી ફૂટ ઓવરબ્રિજની મજા મુલાકાતીઓ માણી શકશે.
ફૂટ ઓવરબ્રિજે રિવરફ્રન્ટની વધારી સુંદરતા
સાબરમતી નદીના બંને કાંઠે મ્યુનિ. સત્તાવાળાઓએ કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર કરાયા બાદ હવે આ રિવરફ્રન્ટ દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ થયો છે. સેંકડો લોકો સાંજ પડતાંની સાથે રિવરફ્રન્ટમાં લટાર મારવા જાય છે. જોકે રિવરફ્રન્ટમાં બાગ-બગીચા, ઈવેન્ટ સેન્ટર, બોટિંગ, સાઇકલિંગ જેવી ઇતર પ્રવૃત્તિઓનો પણ ધમધમાટ છે. હવે તંત્રએ 300 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ ધરાવતા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરીને રિવરફ્રન્ટની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
શું છે બ્રિજની વિશેષતા
આ બ્રિજની વચ્ચેની પહોળાઈ 14 મીટરની છે અને તેના નિર્માણમાં 2600 મેટ્રિક ટન સ્ટીલ વપરાયું છે. પતંગ આકારનો આ બ્રિજ અત્યારે તેના ઉદ્ઘાટનની પ્રતીક્ષામાં છે. બે ફૂડ કિયોસ્ક, ૧૪ સીટિંગ કમ પ્લાન્ટર, ચાર પારદર્શક કાચનું ફ્લોરિંગ આ ફૂટ ઓવરબ્રિજ લોકોનું મન મોહી લેશે તેમાં કોઈ બેમત નથી, પરંતુ તેમાં પ્રવેશવા માટે મુલાકાતીઓએ એન્ટ્રી ફી ચૂકવવી પડશે. પુખ્ત વયના નાગરિક પાસેથી રૂ.20થી 50 અને બાળકો પાસેથી રૂ.10 થી20ની એન્ટ્રી ફી લેવાય તેવી શક્યતા મ્યુનિ. વર્તુળોએ દર્શાવી છે.
મ્યુનિ. સત્તાધીશો ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણની સાથે સાથે રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવું ઇચ્છી રહ્યા છે. આમ અમદાવાદના વિકાસને લગતાં કરોડો રૂપિયાનાં કામનાં લોકાર્પણ અને ખાત મુહૂર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવા શાસકો ઉત્સાહિત બન્યા છે. આના કારણે લોકોની પ્રતીક્ષા થોડીક લંબાઈ છે.
એલજી હોસ્પિટલને અપાશે નવા રંગરૂપ
આ ઉપરાંત મણિનગરની એલજી હોસ્પિટલ અને સરસપુરની શારદાબહેન હોસ્પિટલને નવાં રંગરૂપ અપાશે. એલજી હોસ્પિટલને રૂ. 225 કરોડના ખર્ચે મ્યુનિ. તંત્ર અત્યાધુનિક બનાવવા જઈ રહ્યા છે. બે બેઝમેન્ટ ,ગ્રાઉન્ડ ફ્લોર, નવ માળ ધરાવનારી એલજી હોસ્પિટલમાં 700 બેડની વ્યવસ્થા કરાશે. 80 આઇસીયુ બેડ, કોન્ફરન્સ હોલ, સીસીટીવી વગેરે સુવિધાઓથી સજ્જ નવી એલજી હોસ્પિટલના નિર્માણનાં ટેન્ડર પણ નીકળી ચૂક્યા હોઈ તેનું ખાત મુહૂર્ત પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે તેમ જાણવા મળ્યું છે.
નવી શારદાબેન હોસ્પિટલ બનશે
જ્યારે ઇન્ડિયા કોલોનીના અશોક મિલ કંપાઉન્ડમાં નવી શારદાબહેન હોસ્પિટલનું આઠ માળનું બિલ્ડિંગ ઊભું કરાશે, જેમાં 840 સામાન્ય બેડ અને 80 આઇસીયુ બેડ મળીને કુલ 920 બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાશે તેમજ 15 જેટલાં ઓપરેશન થિયેટર અને 16 વોર્ડ ધરાવતી આ હોસ્પિટલમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ માટેના પણ અલગથી ક્વાટર્સ બનશે. નવી શારદાબહેન હોસ્પિટલના પ્રોજેક્ટ પાછળ પણ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. 225 કરોડ ખર્ચ કરશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.