બનાસકાંઠામાં રખડતા પશુના કારણે આર્મી જવાનનું મૃત્યુ
દિયોદરના વડિયા ગામના જવાન અમરતભાઈ માળીનું મૃત્યુ
આસામમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા
રાજ્યમાં રખડતા ઢોરને કારણે સમસ્યાઓ ઉભી થઇ રહી છે. એક તરફ સરકાર આ અંગે બિલ લાવવાનું નક્કી કરે તો માલધારીઓ વિરોધ કરે છે તો બીજી તરફ રખડતા ઢોરોને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ તો મુસીબત વ્હોરવાનો વારો આવ્યો છે. કોઇના હાથ પગ ભાંગી ગયા તો કોઇની આંખ ફૂટી ગઇ. અરે રખડતા ઢોરની અડફેટે તો નિર્દોષો પણ મોતને ભેટ્યા. પરંતુ આ મામલે કોઇ કડક કામગીરી ન થતા આવી ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
બાઇકની આડે પશુ આવતા જવાનનું મોત
બનાસકાંઠામાં રખડતા પશુઓને કારણે આર્મી જવાનનું મોત થતા ભારે ચકચાર મચી છે. કાંકરેજના અરડુંવાડા પાસે બાઇક પર સવાર આર્મી જવાનના આડે પશુ આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં જવાન અમરતભાઇ માળીનું મોત નીપજ્યુ છે. તેઓ દિયોદરના વડીયા ગામના વતની હતા. મૃતક આર્મી જવાન આસામમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. રજાઓ હોવાથી આસામથી પોતાના વતન આવ્યા હતા. આસામથી ગાંધીનગર અને ત્યાંથી બાઇક લઇને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુઃખદ બનાવ બન્યો.
પરિવાર શોકમાં ગરકાવ
આસામમાં ફરજ નિભાવનાર જવાન રજા લઇને ઘરે આવી રહ્યો હતો. ઘરના સભ્યોમાં હરખની લાગણી હતી. કાગડોળે રાહ જોઇ રહ્યા હતા કે તેઓ ક્યારે ઘરે આવે. પરંતુ પળવારમાં જ આ ખુશીની લાગણી માતમમાં ફેરવાઇ ગઇ. આર્મી જવાનના મોતની ખબર આવતા પરિવાર માથે આભ તૂટી પડ્યુ. ઘટનાને પગલે શિહોરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.