બનાસકાંઠાઃ ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા અમુલ રત્ન ડો. વર્ગિસ કુરીયનની જન્મજયંતિને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવી રહી છે. જે અંતર્ગત તેમના વિચારો સમગ્ર દેશમાં પ્રસરે અને અમુલ બ્રાન્ડ દેશભરમાં છવાય તે હેતુથી જમ્મુથી નીકળેલી બાઇક રેલી રવિવારે પાલનપુર બનાસડેરી ખાતે આવી પહોચી હતી. જ્યાં બાઇકર્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
બનાસકાંઠામાં પણ મોટા ભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેના કારણે બનાસડેરી એશિયાની સૌથી મોટી ડેરી કહેવાય છે. બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી વાઇસ ચેરમેન માવજીભાઇ દેસાઇ સહિત અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે આદિવાસી ભાઇ-બહેનોએ નૃત્ય કરી તેમને આવકાર્યા હતા. આ પ્રસંગે શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે ડો. વર્ગિસ કુરીયનના અથાગ પ્રયત્નોના કારણે શ્વેતક્રાંતિ થકી ભારતનું અર્થતંત્ર ટકી રહ્યું છે. દૂધ ઉત્પાદકો તેમજ પશુપાલકોને તેના મીઠા ફળ મળી રહ્યા છે.