કોરોના પહેલાં એએમટીએસની દરરોજ રોડ પર મુકાતી ૭૦૦ બસથી તંત્રને પ.પ૦ લાખથી ૬ લાખ પેસેન્જર દ્વારા રૂ.રપ લાખની દૈનિક આવક થતી હતી, પરંતુ કોરોના મહામારીને પગલે તંત્રને એપ્રિલ, મે, જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ છેલ્લા છ મહિનામાં જ રૂ.પ૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.
શહેરમાં કોરોનાનો ઉપદ્રવ ઓછો થયો હોઇ નાગરિકો હળવાશ અનુભવી રહ્યા છે. જોકે નવરાત્રિ-દિવાળીના તહેવારોમાં કોરોનાની ગાઇડલાઇનનું અક્ષરસઃ પાલન કરવું પડશે નહીંતર કોરોનાનું સંક્રમણ ફરીથી વકરી શકે છે. મ્યુનિ. તંત્ર પણ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા માટે તેના બહુઆયામી અભિગમ પર વધુ ભાર મૂકવાનું છે. દરમિયાન જાહેર પરિવહન સેવા ક્ષેત્રની દૃષ્ટિએ અમદાવાદમાં આજે પણ એએમટીએસ બસ સર્વિસ આગળ પડતી છે.
એએમટીએસ બસના પેસેન્જરમાં છેક માર્ચમાં છેલ્લા કેટલાક દિવસ કોરોનાની દહેશત ફેલાતાં પેસેન્જરમાં જબ્બર ઘટાડો નોંધાયો હતો. તેમાં પણ તા.રપ માર્ચનાં લોકડાઉનથી તો એએમટીએસ બસ સેવા બંધ જ કરાઇ હતી. હવે જ્યારે એએમટીએસ બસ અનલોક દરમિયાન ફરીથી દોડતી થઇ છે તેવા સંજોગોમાં કોરોનાનો ડર પણ થોડોક ઓછો થયો હોઇ પેસેન્જરનો ઝોક પણ વધ્યો છે,એટલે કે એએમટીએસ તંત્ર માટે અમુક અંશે હળવાશ આપનારું ચિત્ર ઉપસ્યું છે.
રૂ.પ૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન
કોરોના પહેલાં એએમટીએસની દરરોજ રોડ પર મુકાતી ૭૦૦ બસથી તંત્રને પ.પ૦ લાખથી ૬ લાખ પેસેન્જર દ્વારા રૂ.રપ લાખની દૈનિક આવક થતી હતી, પરંતુ કોરોના મહામારીને પગલે તંત્રને એપ્રિલ, મે, જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ છેલ્લા છ મહિનામાં જ રૂ.પ૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે. દરરોજ એક કરોડની ખોટ કરતી આ સંસ્થાને કોરોના મહામારીએ પડતાં પર પાટું માર્યું છે.
આવા વિષમ સંજોગોમાં ગત તા.૧ જૂનના અનલોક-૧થી એએમટીએસ શહેરમાં દોડતી તો કરાઇ, પરંતુ તે વખતે મ્યુનિ. તંત્ર દ્વારા સાબરમતી નદી પરના બ્રિજને ઓળંગવાની પરવાનગી અપાઇ ન હતી. એટલે કે પૂર્વ અમદાવાદની બસ પૂર્વમાં અને પશ્ચિમ અમદાવાદની બસ ફકત પશ્ચિમમાં જ ફરતી હતી. દિવસભર સતત પેસેન્જરથી ગાજતું લાલ દરવાજા ટર્મિનસ પણ ભેંકાર બન્યું હતું. એટલે જૂન મહિનામાં બસ દીઠ રોજના ૧૦૪ પેસેન્જર થતા હતા.
જૂનમાં દરરોજની સરેરાશ ૩૬ર બસ રોડ પર મુકાઈ
તંત્ર દ્વારા જૂનમાં દરરોજની સરેરાશ ૩૬ર બસ રોડ પર મુકાતી હતી. જેનાથી દરરોજની રૂ.ર,૯૮,૬૪૬ની આવક થતી હતી. દરરોજના કુલ ૩૭,૬૪ર પેસેન્જર નોંધાતા હતા. જુલાઇમાં દરરોજના બસ દીઠ ૧પ૦ અને કુલ પ૩,૧૧૯ પેસેન્જર થતા રોજની સરેરાશ આવક થોડી વધીને રૂ.૩,૯૬,ર૭૭ થઇ હતી. જોકે ઓગસ્ટમાં રોજની આવક, પેસેન્જર વગેરેમાં મામૂલી વૃદ્ધિ થઇ હતી. ગત તા.૧ સપ્ટેમ્બરથી તા.૯ સપ્ટેમ્બર સુધી પણ આ સ્થિતિમાં ઝાઝો ફરક પડયો ન હતો.
અગાઉની જેમ એએમટીએસ દોડતી થવાથી નોકરિયાત વર્ગમાં આનંદ
ગત તા.૧૦ સપ્ટેમ્બરથી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ એએમટીએસ અને બીઆરટીએસને સાબરમતી નદી પાર કરવાની લીલી ઝંડી આપી હતી. જોકે તેમાં પણ પ૦ ટકા બેઠક ક્ષમતા સાથે પેસેન્જર લેવા અને સોશિયલ ડિસ્ટન્સિંગને ફરજિયાત કરાયું હતું. જોકે લગભગ સાડા ત્રણ મહિના બાદ સમગ્ર શહેરમાં અગાઉની જેમ એએમટીએસ દોડતી થવાથી નોકરિયાત વર્ગમાં આનંદ ફેલાયો હતો. એએમટીએસ સત્તાવાળાઓએ ગત તા.૧૦ સપ્ટેમ્બરથી શહેરમાં પહેલાંની રોજની ૩પ૦ બસને બદલે ૬૦૭ બસ મૂકી હતી. સમગ્ર અમદાવાદમાં એએમટીએસ તેના ૧૪૯ રૂટ પર દોડતી થઇ જવાથી રોજના પેસેન્જર વધીને ૧૯૪ થયા હતા. આવકમાં પણ વૃદ્ધિ થઇને પ્રતિ દિવસ રૂ.૮,૦૭,૩૬૧ની આવક થવા લાગી હતી.
જ્યારે ચાલુ ઓકટોબર મહિનાની ગત તા.૧થી ૧૩ ઓકટોબર સુધીના સમયગાળામાં હવે રોજના સરેરાશ ર૦૦ પેસેન્જર થયા છે. દરરોજ રોડ પર મુકાતી ૬૬૧ બસમાં સરેરાશ ૧,ર૪,૧૬૭ પેસેન્જર મુસાફરી કરી રહ્યા છે. જેના કારણે તંત્રને રોજની સરેરાશ રૂ.૮,૬૧,પ૯૧ની આવક થઇ રહી છે.
નવરાત્રી અને દિવાળીમાં પેસેન્જર અને આવકમાં વૃદ્ધિ થશે તેવો આશાવાદ
આમ તો કોરોના મહામારી પહેલાંની રોજની રૂ.રપ લાખની આવક સામે હજુ એએમટીએસના સત્તાવાળાઓને ૪૦ ટકા આવક થતી નથી. જ્યારે રોજના પ.પ૦ લાખ પેસેન્જર સામે રર.પ૦ ટકા પેસેન્જર હજુ થયા નથી. તેમ છતાં કોરોનાનો ડર ઓછો થવાથી જૂનના દરરોજના ૧૦૪ પેસેન્જરને બદલે ઓકટોબરમાં દરરોજના ર૦૦ પેસેન્જર થવાથી સત્તાધીશોએ કંઇક અંશે રાહત અનુભવી છે. એટલે નવરાત્રી અને દિવાળીમાં પેસેન્જર અને આવકમાં વૃદ્ધિ થશે તેવો આશાવાદ પણ તેઓ સેવી રહ્યા છે.