AMTS બસ સર્વિસમાં દરરોજના ચાર લાખથી વધુ પેસેન્જર્સ કરે છે મુસાફરી
AMTS બસ સર્વિસમાં દરરોજના ચાર લાખથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે. શહેરના ખૂણે ખૂણે AMTS બસ જતી હોઈ લોકો માટે તે આજે પણ લોકપ્રિય છે. AMTS દ્વારા સિનિયર સિટીઝન્સ માટે ખાસ ૧૦૦ ટકા માફીની યોજના જાહેર કરાઈ છે. ૬૫ વર્ષથી મોટી ઉંમરના તમામ વડીલો આ યોજના હેઠળ પાસ કઢાવીને શહેરમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. ભાજપના શાસકો દ્વારા જાહેર કરાયેલી આ યોજનાને વડીલોએ ઉત્સાહભેર વધાવી લીધી છે.તંત્ર દ્વારા પૂરા પડાયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૪ હજારથી વધુ સિનિયર સિટીઝન્સે ફ્રી મુસાફરી યોજનાનો લાભ લીધો હોઈ તે હિટ પુરવાર થઈ છે.
૭૫ વર્ષથી વધુ વયના વૃદ્ધોને ફ્રી મુસાફરી કરવાની સુવિધા
અત્યાર સુધી એટલે કે ગત તા. ૧ એપ્રિલ, ૨૦૨૨ની પહેલા સુધી AMTSમાં ૭૫ વર્ષથી વધુ વયના વૃદ્ધોને ફ્રી મુસાફરી કરવાની સુવિધા અપાઈ રહી હતી, જ્યારે ૬૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનને ટિકિટ ભાડામાં ૫૦ ટકાની રાહત અપાતી હતી. જોકે ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની શરૂઆતથી ભાજપના શાસકોએ જાહેર કરેલી ફ્રી મુસાફરી યોજના હેઠળ ૬૫ વર્ષથી વધુ વયના તમામ સિનિયર સિટીઝનને તેનો લાભ અપાઈ રહ્યો છે.
ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું કે...
આ અંગે વધુ માહિતી આપતાં ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ જણાવે છે કે, લાલ દરવાજા રિટ્સ હોટેલ ખાતેનાં કન્સેશન સેન્ટર પર મેયર કિરીટ પરમારના હસ્તે ગત ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૬૫ વર્ષથી વધુ વયના નાગરિકોને ફ્રી મુસાફરીના પાસ અપાવીને આ યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ યોજના હેઠળ તા. ૧ એપ્રિલ, ૨૦૨૨થી તા. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં કુલ ૫૪,૬૭૮ પાસ નીકળ્યા છે, જેમાં ૩૪,૬૪૧ નવા પાસ અને ૨૦,૦૩૭ રિન્યૂ કરાયેલા પાસ છે.
જાન્યુઆરી-૨૩માં ૧૭૫૭ નવા પાસ નીકળ્યા
તંત્રના સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ, ૨૦૨૩માં ૯૭૧૪ નવા પાસ અને ૧૪,૫૦૦ રિન્યૂ પાસ મળીને સૌથી વધુ ૨૪,૨૧૪ પાસ નીકળ્યા હતા. મે-૨૦૨૨માં ૩૪૯૨ નવા પાસ અને ૨૩૭૯ રિન્યૂ પાસ મળીને કુલ ૫૮૭૧ પાસ, જૂન-૨૦૨૨માં ૩૮૦૨ નવા પાસ અને ૧૩૪૮ રિન્યૂ પાસ મળીને કુલ ૫૧૫૦ પાસ, જુલાઈ-૨૦૨૨માં ૨૪૮૦ નવા પાસ અને ૬૩૯ રિન્યૂ પાસ મળીને કુલ ૩૧૧૯ પાસ નીકળ્યા હતા. આવી જ રીતે ઓગસ્ટમાં કુલ ૨૩૨૮ પાસ, સપ્ટેમ્બરમાં કુલ ૨૪૧૮ પાસ, ઓક્ટોબરમાં કુલ ૧૫૭૬ પાસ, નવેમ્બરમાં કુલ ૨૬૮૫ પાસ અને ડિસેમ્બર-૨૦૨૨માં કુલ ૨૧૨૭ પાસ નીકળ્યા હતા.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની શરૂઆતના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરી-૨૩માં ૧૭૫૭ નવા પાસ, ૧૨ રિન્યૂ પાસ મળીને કુલ ૧૭૬૯ પાસ, ફેબ્રુઆરી-૨૩માં ૧૫૫૫ નવા અને ૬૪ રિન્યૂ પાસ મળીને કુલ ૧૬૩૯ પાસ અને માર્ચ-૨૩માં એટલે કે છેલ્લા મહિને ૧૭૪૨ નવા પાસ અને ૪૦ જૂના પાસ મળીને કુલ ૧૭૮૨ પાસ નીકળ્યા હતા. તેમ પણ ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે વડીલો ૬૫ વર્ષ ઉપરના હોઈ ૫૦ ટકા કન્સેશનનો લાભ મેળવતા હતા તેમના જનમિત્ર કાર્ડમાં તંત્ર દ્વારા રિન્યૂનાં સ્ટિકર લગાવીને તેમને ૧૦૦ ટકા કન્સેશન અપાઈ રહ્યું છે, જે હેઠળ ૨૦ હજારથી વધુ વડીલોએ તેમના જૂના પાસને રિન્યૂ કરાવ્યા હોઈ આ વર્ગ પણ AMTSથી ખુશખુશાલ છે.
મફત મુસાફરીનો પાસ કેવી રીતે મેળવશો
સિનિયર સિટીઝને મફત મુસાફરીનો પાસ મેળવવા માટે સાદી ગુજરાતી ભાષામાં અરજી કરીને આધારકાર્ડ, લાઈટબિલની ઝેરોક્ષ અને બે ફોટા સામેલ કરવાના રહેશે અને આ અરજી લાલ દરવાજા- રિટ્ઝ હોટલ, સારંગપુર અને વાડજ બસ ટર્મિનસ ખાતે આપવાની રહેશે. જૂના પાસધારકોના પાસને તંત્ર સ્ટિકર લગાવીને રિન્યૂ કરી આપે છે.