ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ સાથે લોકડાઉન 4.0 ની અમલવારી કરાવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકડાઉન 4.0 માં રાજ્ય સરકાર દ્વારા એસટી બસની આંતરરાજ્ય સાથે આંતરિક જિલ્લાની સેવા શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ત્યારે રાજ્યના વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરોમાં ઝોન પ્રમાણે સીટી બસની સેવા શરૂ કરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં AMTS બસની સુવિધા શરૂ કરાય તેવી સંભાવના
ગુજરાતમાં લોકડાઉન 4.0 દરમિયાન કેવી રીતે અને ક્યાં ઝોનમાં કેવી છૂટછાટ આપવી તે અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લઇ નવી ગાઇઉડલાઇન બહાર પાડવામાં આવી શકે છે. જેને લઇને અમદાવાદમાં સીટી બસ સેવા ( AMTS ) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. શહેરમાં કેન્ટેઇન્ટમેન્ટ અને નોન કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં નિયમોનુસાર AMTS બસની સેવા શરૂ કરવામાં આવી શકે છે.
આમ રાજ્ય સરકાર દ્વારા જો લીલીઝંડી આપવામાં આવે તો શહરના કેટલાંક વિસ્તારોમાં AMTS બસો દોડાવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે AMTS બસ શરૂ કરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવશે.
AMTS ના ડાયરેકટર જિતેન્દ્ર મહેતાએ બસ સેવા શરૂ કરવાને લઇને કહી આ વાત
અમદાવાદ શહેરમાં સિટી બસ શરૂ કરવા અંગે AMTSના ડાયરેક્ટર જિતેન્દ્ર મહેતાએ VTV સાથે વાત કરતાં જણાવ્યું કે, AMTSની 200થી 250 બસોને સ્ટેન્ડ ટુમાં રખાઈ છે. જ્યારે પણ સરકારની ગાઈડલાઈન જાહેર થાય ત્યારે અમે સેવા આપવા તૈયાર છીએ. સરકારના નીતિ નિયમો મુજબ બસમાં 50 ટકા જેટલાં પેસેન્જરો બેસાડી સેવા પૂર્વ વત કરાશે.
મહંદ અંશે પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં બસ શરૂ કરાઈ શકે છે, કન્ટેનમેન્ટ ઝોન અને પૂર્વ વિસ્તારમાં બસ શરૂ કરાશે નહીં. આ ઉપરાંત પરિસ્થતિ જોતા AMTSના જુના રૂટોને ટુંકા કરી ગાડીઓ ચલાવાશે, કન્ટેનમેન્ટ ઝોનમાંથી પસાર થતાં રૂટો શરૂ કરાશે નહીં. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે સરકાર જે મુજબ ગાઈડલાઈન આપશે તેવી રીતે અમે કામ કરીશું.
વડોદરામાં લોકડાઉન 4.0 માં શરૂ થઈ શકે છે સિટી બસ
વડોદરામાં લોકડાઉન-4માં સિટી બસ સેવા શરૂ થઇ શકે છે. સિટી બસ મથક પર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ દોડાવાશે. આ સાથે વતન ગયેલા ડ્રાઇવરો અને કર્મચારીઓને સાંજ સુધી પરત બોલાવાશે. 35 મુસાફરોની બસમાં 20 મુસાફર જ બેસાડાશે. બસના ડ્રાઇવરોને તમામ સુવિધા અપાશે.