અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનો વહીવટ સાવ ખાડે ગયો છે. એએમટીએસમાં ખાનગીકરણ થતા સંસ્થાની આબરૂ વધુ ને વધુ ખરડાતી જાય છે. બીજી તરફ બસ ડ્રાઇવરના રફ ડ્રાઇવિંગથી બીઆરટીએસ કરતા પણ એએમટીએસ અમદાવાદીઓ માટે વધુ ઘાતક પુરવાર થઇ છે. ખુદ તંત્રના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા પ.પ વર્ષમાં એએમટીએસ બસના તોતિંગ પૈડા નીચે ૭૮ મહામૂલી જિંદગી કચડાઇ ગઇ છે.
તાજેતરમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસની અડફેટે બાઇક પર જતા બે ભાઇ કચડાઇ જતા સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી ફેલાઇ હતી. આ દુર્ઘટનાની રાજ્ય સરકારે પણ નોંધ લઇ ને બીઆરટીએસ સ્કવોડનું ગઠન કર્યું છે. તેમજ અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરીને આ કમિટી દર ૧પ દિવસે ટ્રાફિકની સમસ્યા અંગે પરામર્શ કરશે જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. બીઆરટીએસમાં છેલ્લા ૧૦ વર્ષમાં પ૩ અકસ્માત નોંધાયા છે.
બીજી તરફ બીઆરટીએસ કરતા એએમટીએસ લોકો માટે ભારે જોખમી બની છે. છેલ્લા સાડા પાંચ વર્ષના સમયગાળામાં એએમટીએસ બસથી શહેરમાં કુલ ૩૩૪૪ અકસ્માતમાં ૭૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને વર્ષ ર૦૧પ-૧૬માં એએમટીએસ બસના સૌથી વધુ ૮પ૦ અકસ્માત થયા હતા અને આ અકસ્માતથી કુલ ર૦ના મોત થયા હતા. આ વર્ષ ર૦૧પ-૧૬ લોકો માટે છેલ્લા સાડાપાંચ વર્ષમાં સૌથી વધુ ઘાતક પુરવાર થયું હતું.
આમાં ઉલ્લેખનીય છે કે, એએમટીએસ સંસ્થાની માલિકીની બસથી કુલ ૧પ લોકોના મોત થયા છે. જ્યારે ખાનગી ઓપરેટરની બસથી કુલ ૬૩ લોકો મૃત્યુને ભેટ્યા છે. આમ જીવલેણ અકસ્માત મામલે ખાનગી ઓપરેટરના ડ્રાઇવર સામાન્ય નાગરિકોના જાનમાલ માટે ભયજનક બન્યા છે.
જાણકાર સૂત્રો કહે છે, સત્તાધીશો દ્વારા ખાનગી ઓપરેટરોને લાડ લડાવાય છે. રોડ પર બસ દોડાવવા માટે છેલ્લા ૩ વર્ષમાં તંત્ર દ્વારા રૂ.૪પ૮.૬૦ કરોડની લ્હાણી કરાઇ છે. આની સામે ખાનગી ઓપરેટરની બસથી જો જીવલેણ અકસ્માત થાય તો ખાનગી ઓપરેટરને ફક્ત રૂ.એક લાખનો મામુલી દંડ કરાય છે. જેના કારણે ખાનગી ઓપરેટર પણ પોતાના ડ્રાઇવરને શિસ્તમાં રહી બસ હંકારવાની તાકીદ કરતા નથી.
એએમટીએસના સત્તાવાળાઓ સ્વીકારે છે કે, છેલ્લા સાડા પાંચ વર્ષમાં ખાનગી ઓપરેટરની બસના ડ્રાઇવરની રફ ડ્રાઇવિંગ અને સિનિયર સિટીઝન તેમજ મહિલાઓ સાથેના ઉદ્ધત વર્તનથી એએમટીએસની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. અકસ્માતના વધતા બનાવો ઉપરાંત ડ્રાઇવરની બેહુદી વર્તણુંક પણ એએમટીએસ સંસ્થા માટે મુંઝવણરૂપ બની છે. પરંતુ ખાનગી ઓપરેટર પર લગામ કસવા સત્તાધીશો પાસે તેમના ડ્રાઇવરોને ટ્રેનિંગ આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.
દરમ્યાન એએમટીએસ બસ બીઆરટીએસ બસ કરતા વધુ ઘાતક બની હોઇ શું સત્તાધીશો પાંજરાપોળની દુર્ઘટનાની જેમ એએમટીએસની કોઇ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે અને આવી દુર્ઘટના બન્યા બાદ શું એએમટીએસ બસની રફ ડ્રાઇવિંગ વગેરે બાબત પર અંકુશ મૂકવાની કવાયત હાથ ધરાશે ?
જેવા પ્રશ્નો બાબતે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારને પૂછતા તેઓ કહે છે, તમામ ડ્રાઇવરને દર કલાકે પ૦ કિ.મી.ની સ્પીડ બાંધી અપાઇ છે અને આઇટીએમએસ સિસ્ટમથી ડ્રાઇવર આ સ્પીડ લિમિટ ઓળંગે તેવી શક્યતા નથી. અકસ્માત નિવારવા ખાનગી ઓપરેટરને વધુ પેનલ્ટી ફટકારવી તે યોગ્ય ઉપાય હોય તેમ મને લાગતું નથી. અત્યારે તો ડ્રાઇવરોની ટ્રેનિંગ એકમાત્ર વિકલ્પ છે.