અમરેલીમાં એક સિંહ અને 10 નીલગાયના મોત મામલે બે ખેડૂતની અટકાયત કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોની અટકાયત કરાતા કિસાનસંઘ વનવિભાગ સામે વિરોધ કરશે.કિસાન સંઘ દરેક તાલુકામાં આવેદનપત્ર આપી વિરોધ કરશે.
જો કે વનવિભાગે ખેડૂતોના રિમાન્ડ માગતા ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે સાવરકુંડલાના લિખાળાની સિમના કુવામાંથી તમામ પ્રાણીઓના મૃતદેહો મળી આવ્યા હતા. તમામ પ્રાણીઓના મોત કુવામાંથી કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે થયા હતા. વાડીના માલિક પિતા પુત્રની વનવિભાગ દ્વારા અટકાયત કરાઈ હતી. અને આરોપીઓ 6 જૂન સુધી રિમાન્ડ પર છે.
આપને જણાવી દઇએ કે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લીખાળા ગામે સિંહ-નીલગાયોના મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી હતી. લીખાળા ગામની એક વાડીમાં આવેલ 50 ફૂટ ઊંડા કુવામાં 1 સિંહ સહિત 10 નીલગાયના મૃતદેહ મળી આવ્યા હતા.
આ ઘટના પાછળ કેટલાક શખ્સોનો હાથ હોવાનું ખુલવા પામ્યું હતું. જો કે આ ઘટના પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જતા પોલીસ અને વનવિભાગે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં 2 ખેડૂતોની અટકાયત કરતા રોષની લાગણી ફેલાઇ હતી.