અમરેલીના ખેડૂતો દ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા આપવામાં આવેલા બિયારણ અને ખાતરના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ અમરેલી કલેક્ટર કચેરી ખાતે ધરણા કરીને વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીની બહાર ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.
આ દરમિયાન ખેડૂતોએ ભાજપ સરકારના વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત છેલ્લા 70 દિવસથી ચાલતા ખેડૂતોના આંદોલનને લઈને પણ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ તકે ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારના મંત્રી જ નકલી ખાતર બિયારણની વાતને સ્વિકૃતી આપે છે તે જ સરકારની નિષ્ફળતા સુચવે છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં રાજ્યના કૃષિમંત્રી ફળદુએ આપેલ એક નિવેદનની આગ આજરોજ અમરેલી પહોંચી છે. નકલી બિયારણ અને ખાતર મામલે રાજ્યના મંત્રીએ આપેલ નિવેદનથી અમરેલી જિલ્લાના ખેડૂતો ઉશ્કેરાયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.
આ મામલે આજરોજ ખેડૂતોએ અમરેલી કલેકટર કચેરી બહાર સરકાર વિરોધી સુત્રોચ્ચાર કારીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે છેલ્લા ૭૦ દિવસથી રાજુલાના પીપાવાવધામ ગ્રામજનો દ્વારા ચાલતા આંદોલન અંગે પીપાવાવધામના ખેડૂત દ્વારા હાથમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને આળોટતા આળોટતા નજરે ચડ્યા હતા. ખેડૂતોના વિરોધની આ અનોખી રીત જોઇને તંત્ર પણ અચંબિત થઇ જવા પામ્યું હતું. આ સાથે કલેક્ટર કચેરીના પટાંગણમાં ખેડૂતોએ રામધૂન બોલાવી હતી.