અમરેલી: ચોમાસામાં જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. જેના કારણે અમરેલીના ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે અમરેલીનો હીરા ઉદ્યોગ પણ મંદીની થપાટ ખાઈ ચૂક્યો છે. જેના કારણે અનેક લોકો બેરોજગારીનો ભોગ બન્યા છે. અમેરલીના રત્ન કલાકારો આ મંદીના કારણે પોતાની પેઢીનો વ્યવસાય છોડીને અન્ય ધંધો-વ્યવસાય કરવા મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ખેતી બાદ બીજા નંબર પર રોજગારી માટે હીરા ઉદ્યોગનો સહારો હતો. જિલ્લામાં અનેક હીરાના કારખાનાઓ ધમધમે છે પણ હાલ હીરામાં ભારે મંદીના કારણે રત્ન કલાકારોની માઠી દશા બેઠી છે.
રત્નકલાકારો રોજનું 400થી 500 રૂપિયાનું કામ કરતા હતા. પરંતુ મંદીના કારણે હવે તેઓને અડધી કિંમતનું કામ પણ મળી રહ્યું નથી. જેના કારણે હવે તેઓ અન્ય રોજગારીની તક માટે ફરી રહ્યા છે.
એક તરફ મોંઘવારી માઝા મુકી રહી છે. ત્યારે રત્નકલાકારોને સરખું કામ ન મળતું હોવાથી તેમને જમવાના પણ ફાંફા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રોજ કમાઈને રોજ ખાનારા આ લોકોને મોંઘવારીનો મારસહન કરવો પડે છે પણ કામધંધો ન હોવાથી તેમની હાલત દયનીય બની હતી.
આ સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કારણ કે હીરાના કાચા રફ માલની આવક ઓછી થઇ તો બીજી તરફ વિદેશમાં જતા હીરાનું વેચાણ ઘટતા મંદીનો માર પડ્યો છે. આ બાબતે ડાયમંડ એસોશિયેશનના પ્રમુખે રત્નકલાકારોની સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી.
આપને જણાવી દઇએ કે ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. ત્યારે રફ હીરાના કારખાનેદારોને મજૂરી મોંઘી પડી રહી છે. અમેરિકાએ મોટો ટેક્સ નાખતા જવેલરી વેચાતી ન હોવાનું કારણ પણ હીરાની મંદી માટે જવાબદાર છે.
આશરે 60 હજાર રત્નકલાકારો હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. હવે આ હીરાની મંદીના કારણે 30 હજાર જેવા રત્નકલાકારોએ હીરાઉદ્યોગ છોડીને અન્ય વ્યવસાય અપનાવ્યો છે અને અમૂક કામદારો રોજગારી શોધી રહ્યા છે.