છેલ્લા ઘણા સમયથી માનવભક્ષી દીપડાઓના ગીર પંથકમાં આતંક વધી રહ્યા છે. ઘણા લોકોને ફાડી ખાધા છે, તો ઘણાઓને ઈજા પહોંચાડી છે. દીપડાઓના આતંકને લઈને લોકો ત્રાહિમામ કરી ગયા છે. અમરેલી-બગસરામાં ફરી દીપડો દેખાયો છે. ત્યારે વનવિભાગના 4 કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અમરેલી-બગસરામાં ફરી દેખાયો દિપડો
બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દેવામાં આવી
દીપડાને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી
અમરેલીમાં માનવભક્ષી દીપડાને પકડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તંત્ર દ્વારા દીપડાને પકડવા માટે સતત ત્રણ દિવસથી ઓપરેશન ચાલી રહ્યું છે. લૂંધીયાની સીમમાં માનવભક્ષી દીપડો ફરી જોવા મળ્યો છે. રસ્તામાં દીપડાના ફૂટમાર્ક દેખાવા છતાં વન કર્મીઓએ ફૂટ માર્ક નિહાળીને ચાલતી પકડી હતી. સમીસાંજે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
દીપડાને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. બગસરાના લૂંઘીયામાં વનતંત્ર સક્રિય થયું છે. ડ્રોન કેમરાથી વનવિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે. લોકોના ટોળેટોળા હાલ સમીસાંજે અગાસીઓ પર ઉમટ્યા હતાં. વનતંત્ર દોડતા દીપડો પકડાવાવની આશાઓ બંધાઇ છે.
જોકે તંત્રને હજુ સુધી દીપડાની ભાળ મળી નથી. આમ, દીપડાની ભાળ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ઓપરેશનની પૂરી ટીમને દીપડો ખો આપી રહ્યો છે.
તો બીજી બાજુ બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. 8થી 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે. લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનો ભંગ કરશે તેના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને રવિ પાકની સીઝન હોવા છતાં ખેતરો ખાલી જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો પાક હવે ભગવાન ભરોસે છે.