અમરેલીના નાળ ગામે સ્કૂલ બસ પલટી જતા બસમાં સવાર 40 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.
અમરેલી-સાવરકુંડલાના નાળ ગામે મીની બસ પલટી
ઠવીની મંગલમ શાળાની બસ પલટી થઈ
સદનસિબે બસમાં સવાર 40 જેટલા વિદ્યાર્થીઓનો બચાવ
અમરેલી-સાવરકુંડલાના નાળ ગામ નજીક મીની સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. ઠવીની મંગલમ શાળાની બસ એકાએક પલટી ગઈ હતી જેને લઈને વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ અંગે આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેને લઈને બનાવ સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. અક્સ્માતગ્રસ્ત સ્કૂલ બસમાં 40 બાળકો સવાર હોવાથી વાલીઓના જીવ તાળવે ચોંટયા હતા.વિદ્યાર્થીઓને અકસ્માતમાં સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે સદનશીને કોઇ જાન હાની થઇ ન હોવાથી લોકોએ રાહતની શ્વાસ લીધો હતો.\
ઇજાગ્રસ્ત બાળકોને અપાઈ સારવાર
આ તકે સ્થાનિકોને જાણ થતા દોડી ગયા હતા અને બાળકોને બચાવવાની કામગીરીમાં જોતરાયા હતા. ત્યારબાદ તમામ બાળકોને બસની બાહર કાઢીને ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. જો કે અકસ્માત અંગેનું કોઇ સ્પષ્ટ કારણ જાહેર થવા પામ્યું નથી.
પંદર દિવસ અગાઉ પોરબંદર પંથકમાં સ્કૂલ બસે મારી હતી પલટી
આશરે પંદર દિવસ અગાઉ પોરબંદર પંથકમાં પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. જેમાં ઘેડ પંથકમાં આવેલ પસવારીથી કુતિયાણા નજીક સ્કૂલ બસ પલટી મારી હતી. આ અકસ્માતમાં 30 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. 60 કિમીની સ્પીડે સિંગલ પટ્ટીના રોડ પર આવતી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી નીચે ખાબકી હતી. અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓમાં ભય સેવાયો હતો. આ અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને સ્થળ પર જ પાટાપીંડી સહિતની પ્રાથમિક સારવાર અપાઈ હતી.