દેશભરમાં અત્યારે ખેડૂતોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે અને દરેક પાર્ટીઓ દ્વારા દાવાઓ કરવામાં આવે છે કે તે ખેડૂતો માટે સારું કામ કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાંથી એવી ઘટના સામે આવી છે કે જે બાદ દેશની આઝાદીના આટલા વર્ષ બાદ પણ ખેડૂતની પરિસ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે.
ખેડૂતની નારંગી પર બોલી લગાવનાર વેપારી છેલ્લા સમયે ફરી ગયો
ખેડૂત પોલીસ પાસે ગયો તો ત્યાં પણ માર ખાવો પડ્યો, કંટાળીને આપઘાત કરી લીધું
મોટા ભાઈના અંતિમ સંસ્કાર કરીને આવી રહેલા નાના ભાઈને હાર્ટ અટેક આવતા મોત
શું છે ઘટના
દેશમાં અત્યારે હજારો ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રથી એક ખેડૂતોના દર્દનાક મોતની ઘટના સામે આવી છે. નારંગી ઉત્પાદક પરિવારના બે સદસ્યોની મોત થઇ ગઈ. પહેલા મોટા ભાઈ અશોક ભૂયારે આપઘાત કર્યો છે અને અંતિમ સંસ્કારથી પરત આવી રહેલા નાના ભાઈને હાર્ટ અટેક આવી જતા મોત નીપજ્યું .
મંત્રીને પણ લખ્યો હતો પત્ર
નોંધનીય છે કે આપઘાત કરતા પહેલા અશોક ભૂયારે સરકારના મંત્રી બચ્ચુ કડુને પત્ર પણ લખ્યો હતો જેમાં મદદની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે મંત્રી બચ્ચુ હાલમાં મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં શિક્ષા રાજ્ય મંત્રી છે અને તેમની ગણતરી એક ખેડૂત નેતા તરીકે થાય છે. નોંધનીય છે કે તે કડુ થોડા દિવસ પહેલા દિલ્હી પણ આવ્યા હતા જ્યાં તેમણે ખેડૂતોનું સમર્થન કર્યું હતું.
પોલીસે પણ ફટકાર્યો
ખેડૂતે પોતાના પત્રમાં લખ્યું હતું કે તેની નારંગી પર બોલી લગાવનાર વેપારીએ છેલ્લા સમયે સામાન લેવાની નાં પાડી દીધી. ખેડૂત જ્યારે કંટાળીને પોલીસ પાસે ગયો તો પોલીસે પણ તેને ફટકાર્યો અને તે બાદ તે ખેડૂતે આપઘાત કર્યું. આ ઘટના બાદ ગ્રામજનો અને પરિવારજનો એ ખૂબ હંગામો પણ કર્યો હતો અને પોલીસ ઓફિસરો પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
દેશમાં ખેડૂતોની પરિસ્થિતિ પર ફરી ઉઠયા સવાલો
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સહીત દેશના અનેક રાજ્યોમાં આવા કેસ સામે આવ્યા છે કે જ્યાં ખેડૂતના પાકને નુકસાન થાય તેવા પગલાં ભરવામાં આવ્યા હોય. એક તરફ જ્યાં દિલ્હીમાં ખેડૂતો પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની આ ઘટના બાદ રાજ્યના દાવાઓ સામે સવાલ ઉભા થયા છે તથા ઉદ્ધવ સરકારના કાર્યકાળમાં પોલીસના આ વલણ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.