ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી છે જ્યારે તેમના ખરાબ સ્વાસ્થ્યની સાઈડ ઈફેક્ટ ગોવાના રાજકારણ પર જોવા મળી રહી છે.
કોંગ્રેસ દ્વારા સતત પર્રિકરના રાજીનામાની માગણી થઈ રહી છે પરંતુ કોંગ્રેસને પોતાની માગણી વચ્ચે એક મોટો આંચકો લાગ્યો છે. મંગળવારે ગોવા કોંગ્રેસના બે ધારાસભ્યો રાજધાની નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી છે.
આ મુલાકાતની સાથે જ ગોવાની રાજકારણમાં ફરી એકવાર ખળભળાટની સ્થિતિ છે. કોંગ્રેસના ધારાસભ્યો દયાનંદ સોપતે અને સુભાષ સિરોદકર અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે સોમવારે રાત્રે જ દિલ્હી પહોંચ્યા હતા.
બંને કોંગ્રેસી ધારાસભ્યોના દિલ્હી પ્રવાસ વખતે ત્યાં ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણે પણ હાજર રહ્યા હતા. ગોવા કોંગ્રેસના બંને ધારાસભ્યો દયાનંદ સોપતે અને સુભાષ સિરોદકર ભાજપમાં સામેલ થવાનું મોટું એલાન કરે તેવી શક્યતા છે.
જો કે ગોવા કોંગ્રેસના પ્રભારીનું કહેવું છે કે તેમને પાર્ટીના બંને ધારાસભ્યો પર ભરોસો છે કે તેઓ પાર્ટી વિરોધી કોઈ કામ કરશે નહીં. મહત્વપૂર્ણ છે કે પર્રિકર ફેબ્રુઆરીના બીજા પખવાડિયાથી બીમાર ચાલી રહ્યા છે અને તેમનો ગોવા મુંબઈ અને અમેરિકા સહીત વિભિન્ન સ્થાનોની મોટી હોસ્પિટલોમાં ઈલાજ કરવામાં આવ્યો છે. પંદરમી સપ્ટેમ્બરથી તેઓ એમ્સમાં ભરતી થયા હતા. તાજેતરમાં જ તેમને દિલ્હીથી ગોવા શિફ્ટ કરવામાં આવ્યા છે.
ગોવા ફોરવર્ડના ઉપાધ્યક્ષ ટ્રાજનો ડિમેલોએ રાજ્યમાં માછલી ઉદ્યોગના માફિયાઓનું ખુલ્લું સમર્થન કરવા માટે ભાજપના નેતૃત્વવાળી સરકાર પર આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યં છે. ડિમેલોએ કહ્યુ છે કે રવિવારે તેમણે રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. કારણ કે સરકાર મત્સ્ય ઉદ્યોગનું સમર્થન કરી રહ્યા છે.
જેમાં માછલીઓને સંરક્ષિત કરવા માટે ફોર્મલિનનો ઉપયોગ કરવામાં આવે છે. ગોવામાં 40 ધારાસભ્યોવાળી વિધાનસભામાં પર્રિકરની આગેવાનીવાળી સરકારને 23 ધારાસભ્યોનો ટેકો પ્રાપ્ત થયેલો છે. જેમાં ભાજપના 14 ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના ત્રણ-ત્રણ અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું પર્રિકરની સરકારને સમર્થન મળેલું છે.
ગોવા વિધાનસભામાં 16 ધારાસભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. હવે ગોવા ફોરવર્ડ પાર્ટીની પાસે બે ધારાસભ્યો છે. તેવામાં ભાજપની સરકાર પાસે ગોવામાં 22 ધારાસભ્યોનું સમર્થન છે.