કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી 28-29 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે અમિત શાહ સંગઠન સાથે બેઠક પણ કરશે. આ ઉપરાંત આગામી સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમિત શાહ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત પણ લેવાના છે.
અમિત શાહ 28 અને 29 ઓગસ્ટ અમદાવાદની મુલાકાત આવી પહોંચશે. આ દરમિયાન અમિત શાહ પીડીપીયુના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. અમિત શાહ ગુજરાતની મુલાકાત દરમિયાન સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. જેમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે.
આ ઉપરાંત રાજ્યના મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. આ સાથે ઓક્ટોબરમાં યોજનાર વિધાનસભા પેટાચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. જયારે 29 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહ કેટલાક કાર્યક્રમો હાજરી આપશે.
અમિત શાહ સાયન્સ સિટીમાં કોર્પોરેશન મિલિયન ટ્રી કાર્યક્રમમાં હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાતની પ્રથમ બેટરી સંચાલિત AMTS બસનું પ્રસ્થાન કરાવશે. તેમજ અમિત શાહ ગાંધીનગરમાં રાજ્યોના તમામ કલેક્ટર સાથે બેઠક કરશે. જેમાં ગાંધીનગર ખાતે ભારત સરકારની યોજનાઓને લઈ ચર્ચા કરવામાં આવશે.
આ અગાઉ હાલમાં ગોવા ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં બે દિવસીય વેસ્ટર્ન ઝોનની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપામી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઉપરાંત અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાત લેશે. અમિત શાહ આગામી સપ્ટેમ્બર મહિનામાં દાદરા નગર હવેલીની મુલાકાત લેવાના છે.
સંઘ પ્રદેશની મુલાકાત દરમિયાન અમિત શાહ કેન્દ્ર સરકારના અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. જમ્મુ કશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ પ્રથમ વખત આવી રહેલા ગૃહ પ્રધાનને આવકારવા પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.