અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ બિન ગુજરાતી સંગઠનો સાથે બેઠક કરી શકે છે. આ ઉપરાંત માણસા સ્થિત પોતાના પૈતૃક ગામના સ્થાનિક મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે પાર્ટીના કાર્યકરો તથા નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરશે.
ઉત્તર ભારતીયોની સાથે થઇ રહેલ હિંસા અને પલાયન પર મૌન તોડતા પીએમ મોદીએ બુધવારે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો મંત્ર 'ભાગલા પાડો અને રાજ કરો' છે જ્યારે ભાજપ 'સબકા સાથ સબકા વિકાસ'ના મંત્ર સાથે કામ કરે છે. બિનગુજરાતી પર હુમલા મુદ્દે CM રૂપાણીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક લોકો સમાજને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મહત્વનું છે કે ઢૂંઢરમાં માસૂમ બાળકી સાથે બળાત્કારની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઉત્તર ભારતીયો સાથે હુમલાની ઘટનાઓ સામે આવી હતી. ત્યાર બાદથી ઉત્તર ભારતીયો હિજરત કરી રહ્યા હતા. જો કે હવે અમદાવાદ સહિત મોટા શહેરોમાં પોલીસના સતત પેટ્રોલીંગને કારણે ઉત્તરભારતીય હિજરત સંખ્યા ઓછી થઇ રહી છે.