પ્રવર્તમાન સંજોગો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા અઠવાડિયે કાશ્મીરની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. મીડિયામાં આ સમાચાર આવતાની સાથે જ વિરોધી પક્ષોમાં હલચલ મચી જવા પામી છે. જોકે અમિત શાહની મુલાકાત કેટલો સમય રહેશે તે અંગેની હજી સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ માનવામાં આવે છે કે તેઓ ત્યાં બે દિવસ રોકાણ કરશે.
વિપક્ષ થયું દોડતું
ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવા ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન સ્થાનિક જન પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. કાશ્મીરમાં અતિરિક્ત સૈન્ય દળોની હાજરી, અમરનાથ યાત્રાને રોકવી અને પરત ફરનારા પ્રવાસીઓ અને અન્ય રાજ્યોના નાગરિકોને પરત ફરવાની એડવાઇઝરી વચ્ચે અમિત શાહની આ મુલાકાતને લઇને વિપક્ષમાં દોડધામ મચી જવા પામી છે.
સરકારનો આતંકીઓના નાશ માટે માસ્ટર પ્લાન
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે કાશ્મીરમાં આતંકવાદની સમસ્યાને જડમૂળથી ખતમ કરવા માટેની માનસિક તૈયારીઓ કરી છે. સરકારે આ માટે એક વિશેષ વ્યૂહરચના ઘડી છે, પરંતુ સુરક્ષાના કારણોસર તે અંગે હજી સુધી કોઇપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
પાકિસ્તાને પણ સમજી લીધું છે કે ભારત હવે પોતાની રીતે કાશ્મીરમાં આતંકવાદનો અંત લાવશે. જેના કારણે પાકિસ્તાનના વિદેશ પ્રધાન પણ ઘણા દિવસોથી અમેરિકન મધ્યસ્થીનો રાગ આલાપી રહ્યા છે. બે અઠવાડિયા પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કાશ્મીર સમસ્યા અંગે મોટું નિવેદન આપ્યું હતું.
કાશ્મીરની સમસ્યાનો ઉકેલ અમને ખબર છે : રાજનાથ સિંહ
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા પુલનું ઉદઘાટન કરવા પહોંચેલા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે હવે કાશ્મીરની સમસ્યા હવે ઉકેલ આવીને જ રહેશે. ભારત પોતાની રીતે આ સમસ્યાનું સમાધાન લાવશે. દુનિયાની કોઈપણ અમને આવું કરવાથી રોકી શકે નહીં.
નવા-જુનીના એંધાણ
આ સાથે જ સંરક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે, "જો કોઈ કાશ્મીર સમસ્યાને વાતચીતના રસ્તાથી કાશ્મીરની સમસ્યાનું સમાધાન નથી થવા દેવા માંગતુ તે અમને સારી રીતે ખબર છે કે, તેનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવે. ગૃહમંત્રી અમિત શાહ આ પહેલા પણ કાશ્મીરની 2 દીવસની મુલાકાત લઇ ચૂક્યા છે. ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે, કાશ્મીર મામલે સરકાર હવે કોઇ મોટું પગલું ભરવા જઇ રહી છે.