કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં NRC અને નાગરિકતા (સંશોધન) બિલ 2019 પરના સેમિનારને સંબોધન કરશે જેના પર દેશની નજર છે. જો કે અમિત શાહના પ્રવાસ પહેલાં રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. TMC એ કેન્દ્રિય ગૃહમંત્રીની મુલાકાતના સમય પર સવાલ ઉઠાવ્યાં છે.
કેન્દ્રમાં ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત બંગાળની મુલાકાતે જઇ રહ્યાં છે. આ સેમિનાર એવા સમય થઇ રહ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં NRC લાગૂ થવાના ડરથી 11 લોકોના મોત નિપજ્યાં છે. એટલા માટે આ કાર્યક્રમ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જો કે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે અમિત શાહ દૂર્ગા પૂજાના કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે.
NRCને લઇને લોકો કરી રહ્યાં છે તૈયારી
પશ્ચિમ બંગાળમાં NRC લાગુ કરવામાં આવે તો તેના માટે લોકો અત્યારથી જ તૈયારીઓ કરવા લાગી ગયા છે. લોકો શહર અને રાજ્યના અન્ય ભાગામાં પોતાનું જન્મ પ્રમાણપત્ર અને અન્યદસ્તાવેજ લઇને સરકારી તેમજ કોર્પોરેશનની ઓફિસ બહાર લાઇનમાં જોવા મળી રહ્યાં છે.
NRCને લઇને અમિત શાહ અને મમતા બેનર્જી આમને-સામને
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે NRCને દેશભરમાં લાગૂ કરવામાં આવશે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અધ્યક્ષતાવાળી તૃણમુલ કોંગ્રેસ (TMC) સરકારે રાજ્યમાં NRCને લાગૂ નહીં કરવાનો સંકલ્પ કર્યો છે.
TMCએ અમિત શાહની મુલાકાતના સમય પર ઉઠાવ્યાં સવાલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કોલાકાત મુલાકાતના સમય પર રાજ્યની તૃણમુલ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં છે. બંગાળમાં સત્તા પર રહેલી TMCએ કહ્યું કે સીએમ મમતા બેનર્જી દુર્ગા પૂજાનું ઉદ્ધાટન કરતી હોય છે, પરંતુ આ માટે અમિત શાહે કોલકાતાની કેમ પસંદગી કરી.