દર વખતે કોંગ્રેસ સામે રાજકીય પડકારોનો સામનો કરતી ભાજપ સામે આ વખતે આમ આદમી પાર્ટીને હરાવવાનો પણ એક પડકાર ઉભો થયો છે.
ગુજરાતમાં રાજકીય પારો ચઢ્યો, AAPની એન્ટ્રીથી અન્ય પક્ષો થયા દોડતા
શાહ મહિનામાં બે વખત ગુજરાતમાં કરશે મંથન
`પંજાબ, દિલ્લીવાળી' ન થયા તે માટે ભાજપ સક્રિય
ગુજરાતમાં રાજકીય પારો ચઢ્યો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાતા દ્વિપક્ષીય રાજકીય યુદ્ધમાં હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે અને આ જ કારણ છે કે દિલ્લી અને પંજાબની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે હવે ભાજપ તરફથી કમાન સંભાળી છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે.
આમ આદમી પાર્ટીએ રાજકારણ ગરમાવ્યું
આવતા વર્ષે એટલે કે 2022ના અંત સુધીમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ ચૂંટણીના દોઢ વર્ષ પહેલા જ રાજ્યભરમાં નેતાઓની વધતી જતી સક્રિયતા, બેઠકોનો દૌર એ વાતના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે રાજકીય પાસા ગોઠવવાનો ધમધમાટ અત્યારથી જ શરૂ થઈ ચુક્યો છે. જેની પાછળનું કારણ છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી.
અમિત શાહ પોતે મેદાનમાં
છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપે સત્તા જમાવી રાખી છે. દર વખતે કોંગ્રેસ સામે રાજકીય પડકારોનો સામનો કરતી ભાજપ સામે આ વખતે આમ આદમી પાર્ટીને હરાવવાનો પણ એક પડકાર ઉભો થયો છે અને આ જ રણનીતિના હિસાબે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દર મહિને લગભગ બે વખત ગુજરાત મુલાકાતે આવશે. રથયાત્રાના દિવસે અમિત શાહ મતવિસ્તારના નગરસેવકો સાથે બેઠક કરશે, તેમજ રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા રણનીતિ ઘડાશે. રાજ્યભરમાં ગરીબોને નિશુલ્ક અનાજ યોજના, મતવિસ્તારમાં ચાલતા કામ અને પ્રશ્નો અંગે ચર્ચા ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના નેતાઓને જનસંપર્ક વધારવાના પણ અમિત શાહે આદેશ આપી દિધા છે.
2022માં કપરા ચઢાણ?
વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના નામે ઉભા થયેલા આક્રોશ બાદ પણ ભાજપે 99 બેઠકો મેળવી, ગઢ ગણાતા ગુજરાતમાં સત્તા જાળવી રાખી હતી, જો કે થોડા સમય પહેલા જ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પાછળ છોડીને આમ આદમી પાર્ટી 27 બેઠકો સાથે બીજા ક્રમની પાર્ટી બની, બીજી તરફ 2015 અને 2020માં દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ બે વખત વિધાનસભામાં જંગી બહુમત મેળવ્યું હતું. પંજાબમાં 2017માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી આમ આદમી પાર્ટી બીજા ક્રમે પહોંચી હતી અને પંજાબમાં એક સમયે સત્તામાં રહેલા શિરોમણી અકાલી દળ અને ભાજપના ગઠબંધનને ટક્કર આપી હતી. એટલે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઉજળા સપના તો ઘણા છે, છતાં પણ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં ભાજપના સંગઠન, રણનીતિ અને વાયદાઓને ટક્કર આપવી આમ આદમી પાર્ટી માટે આસાન જરા પણ નથી.