ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ દ્વારા કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A હટાવવાને લઇને ગતિ તેજ થવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરમાં નવા સીમાંકનની પણ જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહે ગૃહપ્રધાનનો પદભાર સંભળતાની સાથે જ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે બેઠક યોજી હતી. આ બેઠક થવાની સાથે જ અણસાર આવી ગયો હતો કે ગૃહપ્રધાન અમિત શાહનો પ્રથમ પડકાર મિશન કાશ્મીર છે.
જો કે હવે સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ અમિત શાહ જમ્મૂ-કાશ્મીરમાં સીમાંકન પર વિચાર કરી રહ્યાં છે. જમ્મૂ-કાશ્મીર વિધાનસભાના નવા સીમાંકન માટે ગઠનની રચના પણ કરવામાં આવી શકે છે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપના નેતાઓ ઇચ્છી રહ્યાં છે કે જલ્દી જ સીમાંકન કરવામાં આવે. જમ્મૂ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ કવિન્દ્ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓ રાજ્યપાલને આ અંગે લેખિત રજૂઆત કરી ચૂક્યાં છે કે રાજ્યમાં જલ્દી વિધાનસભાના નવા સીમાંકન કરે.
ઉલ્લેખનીય છેલ્લે 1995માં જમ્મૂ-કાશ્મીરનું સીમાંકન થયું હતું. ફારૂખ અબ્દુલ્લાએ 2002માં સીમાંકન પર પ્રતિબંધ મુક્યો હતો. જો કે દર 10 વર્ષે સીમાંકન કરવાનો કાશ્મીર બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ જમ્મૂ-કાશ્મીર વિધાનસભાના નવા સીમાંકન માટે એક પંચની રચના પણ થઇ શકે છે. જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં કુલ 111 બેઠક છે.
જો કે ચૂંટણી 87 બેઠક માટે યોજાઇ છે. જ્યારે 24 બેઠક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માટે ખાલી રખાય છે. 87 બેઠકમાં કાશ્મીરની 46, જમ્મૂની 37 અને લદ્દાખની 4 બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આગામી અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ રાજ્યમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 1 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે.