કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલને રજૂ કર્યું. લોકસભામાં જોરદાર વિરોધ વચ્ચે સોમવારે જ્યારે બિલ રજુ થયુ તો વિપક્ષ તરફથી તેના પર મતદાનની માંગ કરાઇ. જ્યારે વોટિંગ થયું તો બિલ રજૂ કરવાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા. અમિત શાહે કહ્યું કે, હું ગૃહમાં વિશ્વાસ અપાવવા માંગુ છું કે, નાગરિકતા બિલથી લોકોને ન્યાય મળશે.
ગૃહ મંત્રીએ કહ્યું કે નાગરિકતાને લઇને આ પ્રકારના કાયદા પહેલા પણ બન્યા છે
ગૃહ મંત્રીએ કહ્યું કે નાગરિકતાને લઇને આ પ્રકારના કાયદા પહેલા પણ બન્યા છે. તેઓએ કહ્યું કે 1947માં લાખો લોકોએ ભારતમાં શરણ લીધી હતી અને આપણે તેઓેને નાગરિકતા આપતા તમામ અધિકાર આપ્યા. એવા લોકોમાંથી જ મનમોહન સિંહ અને લાલકૃષ્ણ અડવાણી જેવા લોકો પણ થયા. જે પ્રધાનમંત્રીથી લઇને ઉપ પ્રધાનમંત્રી સુધી બન્યા. ત્યારબાદ 1971માં પણ આવી જ જોગવાઇ લાગૂ કરવામાં આવી હતી. તો પછી હવે આ પ્રકારના જ બિલનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે.
1971માં જ્યારે ઇન્દિરા ગાંધીએ દખલ આપ્યો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. એ દરમિયાન આપણે લાખો લોકોને જગ્યા આપી. યુગાન્ડા, શ્રીલંકાથી આવેલા લોકોને પણ આપણે શરણ આપી. તો પછી હવે તેના પર શું વાંધો છે.
લઘુમતીઓને લઇને ભેદભાવ નથી કરી રહ્યા
લોકસભામાં અમિત શાહે કહ્યું કે, હું ગૃહમાં વિશ્વાસ અપાવવા માંગુ છું કે, નાગરિકતા બિલથી લોકોને ન્યાય મળશે. લોકો 70 વર્ષથી ન્યાયની રાહ જોઇ રહ્યા છે. આ એક બંધારણીય પ્રક્રિયા છે. તેઓએ કહ્યું કે, નાગરિકતા બિલની પાછળ કોઇ રાજનીતિ એજન્ડા નથી. અમે નાગરિકતા બિલને લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. લઘુમતીઓને લઇને ભેદભાવ નથી કરી રહ્યા.
અમિત શાહે કહ્યું કે, જો બિલથી ભેદભાવ સાબિત થાય છે તો, બિલને પાછુ ખેંચવામાં આવશે. આ બિલને રાજકીય પાર્ટીના આધારે ન જોવામાં આવે. તેઓએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ સાબિત કરે કે બિલ કોઇને સાથે ભેદભાવ કરે છે.
અમિત શાહે કહ્યું કે, બોર્ડરની સુરક્ષા સરકારનું કર્તવ્ય છે. મણિપુરમાં ઇનર લાઇન પરમિટ લાગૂ થશે. કોઇનો અધિકાર છિનવી રહ્યા નથી. અમે બદલાવને સ્વીકારીએ છીએ. અને બદલાવનો સમાવેશ કરીએ છીએ.
3 દેશોથી અહીં આવેલા લોકોને નાગરિકતા આપવાની જોગવાઇ
જે લઘુમતીઓ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશોથી અહીં આવ્યા છે. તેમને અહીં નાગરિકતા આપવાની જોગવાઇ છે. બંગાળના લોકોને નોર્થ-ઇસ્ટના લોકોને એ વાત બતાવવી જોઇએ કે, શરણાર્થી જે દિવસથી અહીં આવ્યા છે. તેમને એ દિવસથી જ નાગરિકતા આપવી જોઇએ. લઘુમતી પ્રવાસીઓ વિરુદ્ધ ચાલી રહેલી કોઇપણ પ્રકારની કાર્યવાહી ભારતની નાગરિકતા મળવાની સાથે જ ખતમ થઇ જશે. અમિત શાહે કહ્યું કે નાગરિકતા બિલ લાખો લોકોની નરક જેવી જિંદગીથી મુક્તિ અપાવનારું બિલ છે.