ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અમિત શાહે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર પર જોરદાર નિશાન સાધ્યું
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અમિત શાહે KCR પર નિશાન સાધ્યું
અમિત શાહે દાવો કર્યો કે, તાંત્રિકે કહ્યું છે કે, સચિવાલય જશે તો સરકાર પડી જશે.
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દ્રઢપણે માને છે
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અમિત શાહે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કેસીઆર સચિવાલય જતા નથી કારણ કે તેમને એક તાંત્રિક દ્વારા મનાઈ કરવામાં આવી છે. અમિત શાહે દાવો કર્યો કે, તાંત્રિકે કહ્યું છે કે, જો તે સચિવાલયમાં જશે તો સરકાર પડી જશે. અમિત શાહ ભૂતકાળમાં પણ કેસીઆર પર આવા આક્ષેપો કરી ચૂક્યા છે.
અમિત શાહે લગાવ્યો મોટો આરોપ
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમ્યાન અમિત શાહે આરોપ લગાવ્યો કે, કેસીઆર સરકારની કમાન ઓવૈસીના હાથમાં છે. તેમણે કહ્યું, 'KCR ઓવૈસીથી ડરે છે. કેસીઆરને જનતાની ચિંતા નથી, તેમને માત્ર તેમના પુત્રને મુખ્યમંત્રી બનાવવાની ચિંતા છે. શું તમે જાણો છો કે, કેસીઆર ક્યારેય સચિવાલય જતા નથી, કારણ કે તેમને તાંત્રિક દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો તમે સચિવાલયમાં જશો તો સરકાર પડી જશે.'
તેલંગાણામાં ભાજપની સરકાર બનશે: અમિત શાહ
અમિત શાહે કહ્યું, 'જે સીએમ સચિવાલયમાં નથી જતો, શું તેને પદ પર ચાલુ રહેવાનો અધિકાર છે ? કેસીઆરની સમસ્યા ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, કારણ કે તેલંગાણામાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અગાઉ મે મહિનામાં ભાજપની પ્રજા સંગ્રામ યાત્રા દરમ્યાન અમિત શાહે કેસીઆર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેઓ રાજ્ય સચિવાલયમાં જતા નથી કારણ કે, એક તાંત્રિકે તેમને કહ્યું છે કે, જો તેઓ ત્યાં જશે તો તેઓ ચૂંટણી હારી જશે. ભાજપ કાર્યકારિણી બેઠકમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ પણ કેસીઆર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'મુખ્યમંત્રી વાસ્તુના નામે સચિવાલય એક દિવસ પણ આવ્યા નથી. તે મહિનામાં 20 દિવસ ફાર્મ હાઉસમાં રહે છે.
કેસીઆર વાસ્તુશાસ્ત્રમાં માને છે
વાસ્તવમાં, કેસીઆર વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દ્રઢપણે માને છે. તેમને કહેવામાં આવ્યું હતું કે, તેલંગાણામાં જૂના સચિવાલયની ઇમારતમાં વાસ્તુ ખામી હતી, ત્યાર બાદ તેમણે સીએમ તરીકે બહુ ઓછી વાર જૂના સચિવાલયની મુલાકાત લીધી હતી. તેઓ મોટાભાગે તેમના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનમાંથી તેમનું કામ કરતા હતા. આ પછી, KCRએ એક નવું સચિવાલય બનાવવાનું નક્કી કર્યું, જેનો પાયો 27 જૂન 2019 ના રોજ નાખવામાં આવ્યો હતો. એક વર્ષ પછી, લગભગ 150 વર્ષ જૂની સચિવાલયની ઇમારતને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ. કોવિડ સંકટ વચ્ચે સરકારના આ નિર્ણયની પણ ઘણી ટીકા થઈ હતી.
શું કહ્યું હતું તેલંગાણાના મુખ્યમંત્રીએ ?
તેલંગાણાના સીએમ કેસીઆરએ કહ્યું કે, અમારી પાસે 104 ધારાસભ્યો છે. ભાજપ કહે છે કે, તેઓ મહારાષ્ટ્રની જેમ અમારી સરકારને ઉથલાવી દેશે. મુખ્યમંત્રીએ ભાજપને ચેલેન્જ આપતાં કહ્યું કે, એક વાર સરકારને ઉથલાવીને જુઓ. અમે તમારી દિલ્હી સરકારને પાડી દઈશું. કેસીઆરએ કહ્યું કે, તમે કેટલાને ડરાવીને ડરાવશો. કેસીઆરએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહીને જોખમમાં રાખીને સાત રાજ્યોમાં સરકારને ઉથલાવી દીધી. નરેન્દ્ર મોદી પહેલા 14 વડાપ્રધાન હતા પરંતુ કોઈએ દેશને નુકસાન કર્યું નથી. તમે (નરેન્દ્ર મોદી) વડા પ્રધાન નહીં પણ તમારા સાહુકાર મિત્રના સેલ્સમેન બની ગયા છો.