ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ચૂંટણીના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે દેશનાં બાર જ્યોતિર્લિંગ પૈકી એક એવા સોમનાથ મંદિરમાં તેમણે શીશ ઝુકાવ્યું હતું.
ગઈ કાલે નવી દિલ્હીથી હવાઈમાર્ગે તેઓ સીધા રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટ ખાતેના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. આજે રાજકોટથી પરિવારજનો સાથે તેઓ સોમનાથ પહોંચ્યા હતા.
આજે તેઓ સોમનાથ મંદિરમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી જીત મળે તે માટે બંને દિગ્ગજો અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા ભોલેનાથના શરણે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન આવતી કાલ ૧૯ મેએ યોજાવાનું છે, જેને લઈને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે, જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ-બદરીનાથનાં દર્શને પહોંચ્યા છે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દાદાના શરણે આવ્યા છે. આજે તેઓ સોમનાથ મંદિરમાં ધજા ચઢાવી હતી અને સોમનાથથી તેઓ અમદાવાદ આવશે.