ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા અમિત શાહે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે...પરંતુ તેમની સાથે ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ હજુ રાજીનામુ આપ્યું નથી. જેને પગલે સવાલ એ છે કે, અમિત શાહે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું પણ સ્મૃતિ ઈરાનીએ કેમ નથી આપ્યું?
અમિત શાહે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. પરંતુ તેમની સાથે ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ રાજીનામુ આપ્યું નથી. જેની પાછળ ભાજપની એવી ગણતરી હોય શકે કે, ગુજરાતની રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી યોજવાને બદલે પહેલા માત્ર અમિત શાહની ખાલી પડેલી એક જ બેઠકની ચૂંટણી કરવી. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની થોડા સમય બાદ રાજ્યસભામાંથી રાજીનામુ આપે જેથી આ બેઠકની ચૂંટણી અલગ થઈ શકે અને ભાજપ તેના પર કબજો મેળવી શકે.
આમ બન્ને બેઠકોની અલગ અલગ ચૂંટણી કરાવી એક બેઠકનો ફાયદો મેળવી શકે છે.આવતીકાલે મોદી મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યસભાના સભ્યપદેથી અમિત શાહ સહિત 3 સભ્યોએ રાજીનામા આપ્યા છે. પરંતુ અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યું નથી.
તે જોતા એવો તર્ક ચાલી રહ્યો છે કે, જો સ્મૃતિ ઈરાનીને મંત્રી મંડળમાં સ્થાન આપવાનું હોત તો તેમને પણ રાજ્યસભામાંથી રાજીનામું આપવા કહેવામાં આવ્યું હોત. પરંતુ સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, બંધારણીય જોગવાઈ મુજબ, લોકસભાના સભ્ય તરીકે એટલે કે, સાંસદ તરીકેના શપથ લેતા પહેલા અન્ય હોદ્દા પરથી રાજીનામા આપવા પડે. તે પ્રમાણે રાજ્યસભાના બે સભ્યો એવા અમિત શાહ અને રવિશંકર પ્રસાદે રાજ્યસભા પદેથી રાજીનામા આપી દીધા છે.
જેથી તેઓ આવતીકાલે મંત્રી તરીકેના શપથ જોડાઈ શકે છે, પરંતુ સ્મૃતિ ઈરાની રાજ્યસભાના સભ્યપદે હજુ સુધી ચાલુ હોવાથી તેના મંત્રીપદના શપથ અંગે પ્રશ્નાર્થ ઉભો થાય છે. આ સિવાય એક બીજી પણ શક્યતા અંગે ચાલી રહેલી ચર્ચા મુજબ, સ્મૃતિ ઈરાનીને મંત્રીપદ આપવાને બદલે જ્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠનની રચના થાય ત્યારે તેમને રાષ્ટ્રીય મહામંત્રી કે મંત્રી પદ આપીને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવી શકે છે.