શ્રીનગર: એક તરફ જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને PDPનું ગઠબંધન તુટતા બન્નેની સહીયારી સરકાર ધ્વસ્ત થઈ છે. ભાજપે મહેબુબા સરકાર સાથેનું ગઠબંધન તોડયા બાદ કશ્મીર મુદ્દે આક્રમક વલણ અપનાવીને 2019ની ચૂંટણીના પ્રચારના આડકતરી રીતે શ્રીગણેશ કર્યાં.
અત્યાર સુધી શ્યામા પ્રસાદ મુખર્જીના નિર્વાણ દિવસને જમ્મુ-કશ્મીર પ્રદેશ ભાજપ દ્વારા બલીદાન દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો પરંતુ આ વખતે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ખુદ આ દિવસની ઉજવણી માટે કાશ્મીર જઈ રહ્યા છે. ભાજપની આ રણનીતિ આડકતરી રીતે કશ્મીરના મુદ્દાને પોતાના પક્ષમાં કરવાની હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
ભાજપ અને PDP વચ્ચેના ગઠબંધન તૂટ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસીય પ્રવાસ માટે જમ્મૂ-કશ્મીર જવાના છે અને જ્યાં તેઓ ભાજપ કાર્યકર્તાઓ સાથે એક રેલી યોજીને સભાને સંબોધન પણ કરવાના છે.
આ સાથે ભાજપની ચૂંટણી કમિટી સાથે પણ બેઠક કરવાના છે તેવું નજીકના રાજીકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તે સિવાય અમિત શાહ જમ્મુ કન્વેશન સેન્ટરમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના 65માં શહીદી દિવસ પર બુધ્ધિજીવી સંમેલનના આયોજનમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એકમાસમાં એટલે કે રમઝાન માસમાં કેન્દ્ર સરકારે સીઝફાયર જાહેર કર્યું હતું.આ સાથે ઓપરેશન ઓલ આઉટ પણ બંધ કર્યું હતું. પરંતુ તેમ છતા પાકિસ્તાન દ્વારા સતત આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીરના કેટલાક લોકો ઘાયલ થયા હતા તો કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો.
આ તમામ ઘટનાનો ટોપલો દેશની વર્તમાન સરકાર પર ઢોળાઇ રહ્યો હતો. ત્યારે ગતરોજ ભાજપે કાશ્મીરની મહેબૂબા સરકાર સાથે છેડો ફાડવાનો નિર્ણય કરતા દેશના રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો અંતે ગઠબંધન વાળી સરકાર તૂટી હતી.આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ત્યારે તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના હોવાથી અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.