ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર સાથે કરી ચર્ચા, પાણીની નવી લાઇન નાંખવા આપી મંજૂરી
ગાંધીનગરના કલોલમાં વકર્યો રોગચાળો
કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યા આદેશ
રોગચાળો કાબૂમાં લેના આપ્યા આદેશ
ગાંધીનગર જિલ્લાના કલોલમાં રોગચાળાએ માઝા મૂકતા કેન્દ્રીય ગૃહમંત્રી ચિંતિત થયા છે. રોગચાળાને કાબૂ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે તંત્રને આદેશ કર્યો છે. આ ઉપરાંત દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તેવા પગલા લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે. રોગચાળા પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા પણ જરુરી સુવિધાઓ પુરી પાડવામાં આવે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ચર્ચા કરી હતી.
ઝાડા ઉલ્ટીના કેસ 500ને પાર ?
મહત્વનુ છે કે કલોલમાં ઝાડા ઉલ્ટી અને કોલેરાના કેસમાં વધારો થયો છે. કેસ 500ને પાર પહોંચતા તંત્ર દોડતું થયું છે.. તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાવવા માટે 30 ટીમ ઉતારવામાં આવી છે . ઘરે ઘરે જઇને જરુરી સૂચનો તથા ક્લોરિન ટેસ્ટ અને ક્લોરિનની દવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત 8 મેડિકલ ઓફિસર અને 92 પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે આટલા બધા કેસ નોંધાવવાનું કારણ દૂષિત પાણી માનવામાં આવી રહ્યું છે જેને પગલે પીવાના પાણીની નવી લાઇન નાંખવાની મંજૂરી અપાઇ છે.અસરગ્રસ્ત 59 સોસાયટીમાં નળથી પાણી બંધ કરવામાં આવ્યું છે અને હાલ નગરપાલિકા દ્વારા પીવા અને ઘર વપરાશનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કલેક્ટરે અધિકારીઓનો લીધો ઉધડો
કલોલમાં રોગચાળો વધતા 30 ટીમો બનાવીને 2921 ઘરોમાં સરવેની કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ વધતા કેસને પગલે ગાંધીનગર કલેક્ટરે ઓચિંતીથી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને અધિકારીઓનો ઉધડો લઇ નાંખ્યો હતો. જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. કલોલ સિવિલની ફરિયાદો મળતા કલેક્ટરે અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવી દીધા હતા.
કંટ્રોલ રૂમ કરાયો શરુ
અર્બન હેલ્થ સેન્ટરમાં 24કલાક માટે કન્ટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે, જેનો નંબર 027640 229022 પણ જાહેર કરવામાં આવ્યો છે. રોગચાળાને લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં કન્ટ્રોલ રૂમ અંગેની જાણકારીનાં બેનર-પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. કલોલ CHCમાં બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયન ડોકટરની પણ સતત સેવા શરૂ કરી દેવાઈ છે