કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે ખેડૂત આંદોલનથી સરકારને ફાયદો જ થવાનો છે નુકશાન નહીં
અમિત શાહે ખેડૂત આંદોલનથી બંગાળમાં ભાજપને ફાયદો થવાની વાત કરી
સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર-અમિત શાહ
નવો કૃષિ કાયદા ખેડૂતો પર થોપાયા નથી પરંતુ તેમને નવા વિકલ્પ અપાયા છે.
પહેલા કાયદા રદ કરીને મંત્રણા થાય તેવું ન બની શકે
અમિત શાહે જણાવ્યું કે સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મને વાતચીત કરવા અને જરુર લાગે ત્યાં કૃષિ કાયદામાં ફેરફાર કરવા માટે તૈયાર છે પરંતુ પહેલા કાયદા રદ કરવામાં આવે અને પછી વાતચીત થાય તેવું કદી પણ ન બની શકે. જો કોઈને લાગતુ હોય કે કાયદામાં એવું કંઈક છે જે ખેડૂતોના હિતની વિરુદ્ધ છે તો સરકાર ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે. કાયદામાં જે પણ જોગવાઈ ખેડૂત વિરોધી લાગતી હોય તેની પર ચર્ચા કરો. અમે કાયદામાં સુધારો કરવા તૈયાર છીએ. પરંતુ તમે રોડ પર બેસીને આ પ્રકારની ચર્ચા ન કરી શકો.
કેન્દ્ર તો બંગાળના ખેડૂતોને વર્ષે 6 હજાર આપે છે પરંતુ મમતા યાદી આપતા નથી
શું ખેડૂત આંદોલનથી ભાજપને પશ્ચિમ બંગાળમાં નુકશાન થશે તેવા સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે ખેડૂત નેતાઓને અહીં આવીને ચર્ચા કરવાનો અધિકાર છે પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતોની એક અલગ જ સમસ્યા છે. જેની પર ખેડૂતો જવાબ આપતા માગતા નથી. વડાપ્રધાન મોદી દર વર્ષે ખેડૂતોને જે 6000 રુપિયા મોકલાવે છે તે ખેડૂતોને મળતા જ નથી. મમતા દીદી તેની યાદી આપતી નથી. દેશભરના ખેડૂતોને વર્ષે 6 હજાર મળે છે પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતોને મળતા નથી. અમારી સરકાર બનશે તો પશ્ચિચ બંગાળના ખેડૂતોને બાકી હપ્તાની સાથે નવા હપ્તા પણ આપીશું.
નવા કૃષિ કાયદામાં ખેડૂતો માટે ફરજિયાત જેવું કશું નથી
અમિત શાહે કહ્યું કે 130 વર્ષ બાદ કોઈ સરકાર ખેડૂતોની ખેતપેદાશોની માર્કેટીંગ વ્યવસ્થામાં સુધારો કરી રહી છે. નવો કૃષિ કાયદા ખેડૂતો પર થોપાયા નથી પરંતુ તેમને નવા વિકલ્પ અપાયા છે. નવા કૃષિ કાયદામાં ખેડૂતો માટે ફરજિયાત જેવું કશું નથી. અમિત શાહે કહ્યું કે, ભાજપની સરકાર બનવા પર માછીમારોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે, જેવી રીતે ખેડૂતોને સન્માન નિધિ મળે છે. શાહે કહ્યું કે, બંગાળના ઉત્તરાયણ મેળાને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપીશું.