લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન દિલ્લીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિત 10 હજાર કાર્યકર્તાઓ સામેલ થઈ રહ્યા છે.
ત્યારે અમિત શાહના અધ્યક્ષનો કાર્યકાળ આગામી 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આમ ત્રીજીવાર અમિત શાહને પાર્ટી અધ્યક્ષ બનાવવા માટે ભાજપ પાર્ટીના બંધારણને બદલશે.
મહત્વની વાત એ છે કે ભાજપના બંધારણ મુજબ એક વ્યક્તિ પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન માત્ર બે જ વાર પાર્ટી અધ્યક્ષ બની શકે છે. જે વ્યક્તિ પંદર વર્ષ સુધી પાર્ટીનો સભ્ય રહ્યો હોય તેને જ પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે છે.
એટલું જ નહીં ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય પરીષદના સભ્ય અને પ્રદેશ પરિષદોના સભ્ય સામેલ હોય છે.
ભાજપના બંધારણમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચના કોઈ પણ 20 સભ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે લડનારા વ્યક્તિના નામનું સંયુક્ત રૂપે પ્રસ્તાવ રજૂ કરી શકે છે. આ સંયુક્ત પ્રસ્તાવ ઓછામાં ઓછા પાંચ પ્રદેશોમાંથી આવવો જરૂરી છે.
જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી હોય. આ સાથો સાથ નામંકન પત્ર પર ઉમેદવારની સ્વીકૃત્તિ હોવી પણ જરૂરી છે. 2019 ચૂંટણી બાદ ભાજપ નક્કી કરશે કે પાર્ટી કમાન કોને સોંપવી. આવામાં જો અમિત શાહ પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે તો તેના માટે ભાજપે પોતાના જ બંધારણમાં બદલાવ કરવો પડશે.