કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને ત્રણ પૈડાવાળી ઓટો રિક્ષા ગણાવી હતી અને તમામ મોરચે નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકાર ઉપર અમિત શાહના પ્રહારો
શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકારને ઓટો રિક્ષા સરકાર ગણાવી
અમિત શાહે કહ્યું,' જનાદેશ સાથે દગો કરીને રચાયેલ અપવિત્ર ગઠબંધન છે'
ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કાંકાવલી ખાતે મેડિકલ કોલેજના ઉદ્ઘાટન પછી કહ્યું કે આ ઓટો રિક્ષાના તમામ પૈડાં જુદી જુદી દિશામાં ચાલે છે. તેમણે કહ્યું કે, આ જનાદેશ સાથે દગો કરીને રચાયેલ અપવિત્ર જોડાણ છે, જ્યારે કે જનાદેશ દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીવાળી ભાજપ-શિવસેના સરકારનો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ બાદ શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું હતું
તેમણે આરોપ લગાવ્યો કે સત્તાના લોભમાં આ ગઠબંધનની રચના કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ અને શિવસેના દ્વારા વર્ષ 2019 ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી પદ વહેંચવાનું કોઈ વચન આપવામાં આવ્યું નહોતું. મહત્વનું છે કે, 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ બાદ શિવસેનાએ મુખ્ય પ્રધાન પદ માટે તેની લાંબા સમયથી સાથી ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
ત્યારે ઠાકરેએ દાવો કર્યો હતો કે અમિત શાહે તેમને આ વચન આપ્યું હતું. જો કે શાહે રવિવારે કહ્યું હતું કે શિવસેનાને મુખ્યમંત્રી પદ માટે કોઈ વચન આપવામાં આવ્યું નથી. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, "હું બંધ ઓરડામાં વચનો આપતો નથી. હું જે પણ કરું છું તે હું ખુલ્લેઆમ કરું છું ... હું બંધ રૂમમાં કોઈ રાજકારણ કરતો નથી. અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી તેના વચનોનું સન્માન કરે છે."
અમે જે વચન આપી છીએ, તેનું સન્માન કરીએ છીએ : ગૃહમંત્રી અમિત શાહ
તેઓએ કહ્યું, અમે સફેદ જૂઠ નથી બોલતા. અમે એવા લોકો છીએ જે વચનનું સન્માન કરે છે. બિહારમાં, અમે કહ્યું હતું કે એનડીએમાં ભાજપને વધુ બેઠકો મળે તો પણ નીતિશ કુમાર મુખ્ય પ્રધાન રહેશે. તેમણે કહ્યું, "ભાજપને જેડી(યુ) કરતા વધારે બેઠકો મળી અને નીતીશ કુમારે કહ્યું કે ભાજપે મુખ્યમંત્રી બનાવવો જોઈએ, પરંતુ, અમે કહ્યું હતું કે ભાજપે પહેલેથી જ કહ્યું છે કે તેઓ જ મુખ્ય પ્રધાન બનશે.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું કે શિવસેના પ્રમુખે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલીઓ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે 'અમે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ-શિવસેના ગઠબંધન માટે મત માંગ્યા.' તે સમયે તમે તે કેમ ન કહ્યું? તમે મોદીજીના નામે કેમ મત આપ્યો? "તેમણે કહ્યું," સત્તાના લોભમાં બાળાસાહેબના બધા આદર્શને ફેંકી દેવામાં આવ્યા હતા.
રામ મંદિરના નિર્માણને લઈને કરી આ વાત
તેમણે મહારાષ્ટ્ર સરકાર પર તમામ મોરચે નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે રામ મંદિરનું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બે વર્ષમાં નિર્માણ કરવામાં આવશે. કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં લેતા તેમણે કહ્યું, "દરેકને શંકા હતી કે મોટી જનસંખ્યા અને નબળા આરોગ્ય માળખાવાળા દેશ કેવી રીતે રોગચાળાને પહોંચી વળશે, પરંતુ ખરા સમયે અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા.