મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ચાલી રહેલા ધમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપેલા નિવેદન પર શિવસેનાના નેતા સંજય રાઉતે પલટવાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું છેકે શિવસેના સાથે બંધ બારણે યોજાયેલી બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને ભાજપ જાહેર કરે.
ભાજપે બંધ બારણેની બેઠક જાહેર કરવી જોઈએ
ભાજપ સાથે બેઠકમાં સરકાર અંગે ચર્ચા થઈ હતી
સંજય રાઉતે ભાજપના નેતાઓ પર આક્ષેપ લગાવતા કહ્યું કે શિવસેના સાથે બંધ બારણે જે બેઠક યોજાઇ હતી તે અંગેની જાણકારી પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવી નથી.
સંજય રાઉતે અમિત શાહના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે જો અમિત શાહ કહી રહ્યાં છે કે PM મોદીએ દરેક ચૂંટણી સભામાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે તો સામે પક્ષે ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાની દરેક જનસભામાં કહ્યું હતું કે બધાને સમાન હક્ક આપવામાં આવશે.
બેઠક કરાઇ હતી તે બાલા સાહેનો રૂમ હતો
શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે જે બંધ રૂમમાં બેઠક કરવામાં આવી હતી તે કોઇ મામૂલી રૂમ નહોતો, તે બાલા સાહેબનો રૂમ હતો. અમારા માટે માત્ર એ રૂમ નથી, મંદિર છે. જો કોઇ એમ કહે છે કે આવી વાત નથી થઇ તો તે બાલા સાહેબ ઠાકરેનું અપમાન છે.
તો વાત અહીં સુધી પહોંચી ન હોત...
ભાજપ પર નિશાન સાધતા શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે હવે વાત મહારાષ્ટ્રના સ્વાભિમાનની છે, વાત એવી છે, પ્રાણ જાય પર વચન ન જાય. રાજકારણ અમારા માટે વેપાર નથી. બંધ બારણે થયેલી વાતચીત જો પ્રધાનમંત્રી સુધી પહોંચી હોત તો આમ થયું ન હોત.
અમિત શાહે શું આપ્યું હતું નિવેદન
બુધવારના રોજ અમિત શાહે મહારાષ્ટ્ર સંકટ પર પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું હતું કે અમે તો શિવસેના સાથે સરકાર બનાવવા તૈયાર હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ અને મે ઘણી વખત કહ્યું હતું કે ચૂંટણીમાં જીત બાદ ફડણવીસ જ મુખ્યમંત્રી હશે. જો તેના પર કોઇ વાંધો હતો તો તે સમયે જ જણાવી દેવું હતું. હવે તેઓ નવી શરત સાથે આવી ગયા, જે માની શકાય તેવી નથી.