પ.બંગાળમાં ભાજપની રેલીમાં ઘર્ષણ મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. જેમાં અમદાવાદના લાલ દરવાજા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ. આ પ્રદર્શનમાં ભાજપના કાર્યકર્તાઓએ લોકતંત્ર બચાવો બંગાળ બચાવોના નારા લગાવ્યા.
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ સામ સામે આવી ગયા હતા. જે બાદ ભારે આગચંપી અને હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા.
અમિત શાહના રોડમાં આ સમયે અચાનક બબાલ થઇ હતી. જે ટ્રકમાં શાહ સવાર હતા તેના પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી હરકતમાં આવી હતી અને લાઠીચાર્જ કરવા લાગી હતી. તો આ તરફ કેટલાક લોકોએ આગચંપી પણ કરી હતી. જેને પગલે વાતાવરણ વધારે તંગ બન્યું હતું અને ભાગદોડ મચી જવા પામી હતી.
ગુજરાતના કાર્યકરોને થયો કડવો અનુભવ
પશ્વિમ બંગાળમાં ભાજપના પ્રચારમાં ગયેલા કાર્યકરોને કડવો અનુભવ થયો હતો. પશ્ચિમ બંગાળમાં ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને હોટેલમાંથી બહાર કાઢવામં આવ્યા હતા. બારાસાત લોકસભા બેઠક પર પ્રચાર માટે ગયેલા કાર્યકર્તાઓ સાથે ઘટના બની હતી.
અમિત શાહની રેલી બાદ કાર્યકર્તાઓને હોટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહીથી પોલીસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે રગઝક થઇ હતી. મહત્વનું છે કે, ચૂંટણી પહેલા રૂટિન ચેંકિગ દરમિયાન હોટેલ છોડવા આદેશ કર્યો હતો.