ભારે વિવાદ બાદ આખરે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને પશ્ચિમ બંગાળમાં લેન્ડ કરવાની મમતા સરકારે પરવાનગી આપી હતી. આમ બહુ ચર્ચિત વિવાદ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે માલદા ખાતે રેલીને સંબોધન કર્યું.
અમિત શાહે રેલીને સંબોધન કરતાં જણાવ્યું કે હું અહીંયા લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કરવા આવ્યો છું. લોકસભાની ચૂંટણી બંગાળના ભવિષ્યની ચૂંટણી હશે. 2019ની ચૂંટણી નક્કી કરશે કે હત્યાઓ કરાવનારી ટીએમસી સરકાર રહેશે કે નહીં.
ટીએમસી સરકાર બંગાળમાં ભાજપને યાત્રાઓની મંજૂરી આપતી નથી. મમતા બેનરજીને લાગ્યુ કે ભાજપની યાત્રા નીકળશે તો આ ટીએમસી સરકારની અંતિમ યાત્રા સાબિત થશે. બંગાળમાં લોકતંત્રને સમાપ્ત કરવાનું કામ મમતા બેનરજી કરી રહ્યાં છે.
ટીએમસી સરકારે બંગાળની સંસ્કૃતિનો વિનાશકર્યો છે. બંગાળની જનતાએ એ કોમ્યુનિસ્ટોને હટાવ્યા હતા હવે ટીએમસીને હટાવશે. 20 પાર્ટીના નેતાઓ એકઠા થયા પણ એકપણ નેતા ભારત માતાકી જય ના બોલ્યા. અમિત શાહે બંગાળમાં દુર્ગા વિસર્જનને લઇને મમતા સરકાર પર પ્રહાર કર્યા.
અમિત શાહે કહ્યું કે બંગાળમાં દુર્ગા વિસર્જનની મંજૂરી મળતી નથી. બંગાળમાં વિસર્જન નહી કરીએ તો શું પાકિસ્તાનમાં દુર્ગા વિસર્જન કરીશું. મતબેંક તુટવાના ડરથી નાગરિકતા સંશોધન બિલથી ટીએમસી દૂર ભાગી રહી છે. જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો ગૌ તસ્કરી બંધ કરાવીશું.