રાજસ્થાનના જેસલમેરમાં ગૃહમંત્રી અને દિગ્ગજ નેતા અમિત શાહે ગેહલોત સરકાર પર મોટા પ્રહાર કર્યા છે.
અમિત શાહના ગેહલોત પર મોટા પ્રહાર
રાજસ્થાનમાં લૉ એન્ડ ઑર્ડર નહીં, લો અને ઑર્ડર કરો સરકારઃ અમિત શાહ
કોંગ્રેસે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબ હટાવવાનું કામ કર્યું હતુંઃ અમિત શાહ
રાજસ્થાનમાં અમિત શાહે કહ્યું કે, હું રાજસ્થાનની જનતાને આહ્વહન કરવા આવ્યો છું કે અહીંની નકામી અને ભ્રષ્ટાચારી અશોક ગેહલોત સરકારને મૂળમાંથી ઉખેડી ફેંકવાની છે અને ભાજપના કમળ નિશાનવાળી સરકાર બનાવવાની છે.
તેમણે ગેહલોત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સમગ્ર રાજસ્થાનમાં લૉ એન્ડ ઑર્ડરની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લૉ એન્ડ ઑર્ડરનો મતલબ થાય છે કાયદો અને વ્યવસ્થા. ગેહલોત સરકારના લૉ એન્ડ ઑર્ડરનો મતલબ છે લો અને ઑર્ડર કરો. રાજસ્થાનની ગેહલોત સરકાર સમગ્ર રીતે ભ્રષ્ટ સરકાર છે.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, ઈન્દિરાજીએ 70ના દાયકામાં ગરીબી હટાઓનો નારો આપ્યો હતો, જ્યારે 2014માં મોદીજી આવ્યા ત્યારે ગરીબો પાસે ઘર નહોતા, વીજળી નહતી, કરોડો માતા-બહેનો પાસે ગેસ કનેક્શન નહતું, ગરીબો પાસે શૌચાલયની વ્યવસ્થા નહતી.
શાહે કહ્યું કે, 7 વર્ષ બાદ આજે કહી શકું છું કે તમામ ગામમાં વીજળી, તમામના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ મોદી સરકારે કર્યું. ગરીબી હટાવવાનું કામ 2014 બાદ પૂર્ણ બહુમતિની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. કોંગ્રેસ નેતા સાંભળી લે. તમે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબ હટાવવાનું કામ કર્યું હતું.
ગૃહમંત્રીએ રાજસ્થાન સરકારના આંકડા રજૂ કરતા કહ્યું કે, રાજસ્થાનમાં લૂટના કેસોમાં 40 ટકાનો વધારો થયો છે, અપહરણના કેસમાં 25 ટકાનો વધારો થયો છે, બળાત્કારોના કેસમાં 21 ટકાનો વધારો થયો છે, બાળકીઓના બળાત્કારના કેસોમાં 42 ટકાનો વધારો થયો છે, બહુ બધા પુજારીઓની હત્યા થઇ, મંદિરોમાં ચોરીઓ થઈ.
વધુમાં શાહે કહ્યું કે, મોદીજીએ આખા દેશમાં પેટ્રોલ-ડીઝલના વેટ ઘટાડ્યા, ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પણ વેટ ઘટાડવાનું કામ કર્યું પરંતુ રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં પેટ્રોલ-ડીઝલ પર વેટ નથી ઘટાડવામાં આવ્યો.