લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ હવે ગુજરાતમાં છ સભ્યો રાજીનામા આપશે. જેમાં ચાર ધારાસભ્યો અને બે રાજ્યસભાનાં સાંસદ શામેલ છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ પરથી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ઉત્તર પ્રદેશનાં અમેઠીથી ચૂંટણી જીતી ગઇ છે. આ બંને ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે અને આગામી બે સપ્તાહની અંદર બંને રાજ્યસભાનાં સભ્યપદ પરથી રાજીનામુ આપશે.
જ્યારે ગુજરાત વિધાનસભામાં ચાર સભ્યોમાં પરબત પટેલ, હસમુખ પટેલ, ભરતજી ઠાકોર, રતનસિંહ રાઠોડ અને પરબત પટેલ પણ લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચી ગયા છે. આ ચારે સભ્યો પણ ગુજરાત વિધાનસભાનાં સભ્યપદેથી જલ્દીથી રાજીનામું આપી દેશે. આ ધારાસભ્યોનાં રાજીનામાથી ગુજરાતની અમરાઇવાડી, ખેરાલુ, લુણાવાડા અને થરાદ સહિત ચાર વિધાનસભા સીટોં ખાલી થશે. લોકસભાનાં પરિણામો બાદ હવે વિધાનસભાની પેટા ચૂંટણી થશે. અમરાઇવાડી, થરાદ, લુણાવાડા અને ખેરાલુ વિધાનસભા સીટ પર આગામી છ મહીનામાં પેટા ચૂંટણી થશે.
તમને વધુમાં જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણીમાં અગ્રતાક્રમે એટલે કે ઉમેદવારોની પસંદગી માટે ક્રમ 1 અને ક્રમ 2 એમ પ્રેફરન્સ વોટ હોય છે. ભાજપનાં બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યાં હોવાંથી રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ જ્યારે રાજીનામું આપે ત્યારે ખાલી બેઠકો સામે ભાજપનાં બે અને કોંગ્રેસનાં બે ઉમેદવારો ઊતરે ત્યારે તેવી સ્થિતિમાં ભાજપનાં સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવો પડે અને બાકીનાં ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આપશે રાજીનામાઃ
ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં રોજ લોકસભા ચૂંટણીની મતગણતરી હતી એટલે કે પરિણામનો દિવસ હતો. ત્યારે ગુજરાતની વીવીઆઇપી સીટ ગણાતી એવી ગાંધીનગર બેઠક પર આખરે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમની પાર્ટીનાં સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો હતો. અમિત શાહે આ બેઠક પર 5,44,000ની જંગી લીડ મેળવી છે. ત્યારે હવે અમિત શાહ અને સ્મૃતિ ઇરાની એ બંને નેતાઓ હાલ ગુજરાતમાં રાજ્યસભાનાં સાસંદ છે. ત્યારે તેઓ હવે લોકસભામાં જીતી જવાથી તેમને રાજ્યસભાનાં સભ્ય પદ પરથી રાજીનામું આપવું પડશે.