RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના મામલે CBIની વિશેષ અદાલત ચુકાદો આપ્યો છે. કોર્ટે સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.
અમિત જેઠવા હત્યા કેસમાં કોર્ટે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પાચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને દિનુબોઘાને દોષિત જાહેર કર્યા છે. તો દોષિત જાહેર કરેલા આરોપીઓને 11 જુલાઈએ સજા સંભળાવવામાં આવશે.
સીબીઆઈના વકીલે કોર્ટમાં આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ સીબીઆઈ કોર્ટએ તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. આ હત્યા પાછળ દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.