ગુજરાતના ઇન્કમટેક્સ વિભાગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિનિયર IRS અધિકારી અમિત જૈનની બદલી અમદાવાદથી મુંબઈ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ (PCCIT) તરીકે કરવામાં આવી હતી. તેઓને ફરી એક વખત મુંબઈથી બદલીને અમદાવાદ PCCIT તરીકે મુકવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગમાં બદલીના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આશ્ચર્યજનક રીતે સિનિયર IRS અધિકારી અમિત જૈનની બદલી મુંબઈથી અમદાવાદ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ (PCCIT) તરીકે કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા જ સમય પહેલા તેમની બદલી અમદાવાદથી જ મુંબઈ PCCIT તરીકે કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતના તત્કાલીન પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ પ્રીતમ સિંઘની બદલી ગુજરાતથી PCCITથી ઉત્તર પ્રદેશ પૂર્વના PCCIT તરીકે કરવામાં આવી છે.
અમદાવાદમાં અમિત જૈન ડિરેક્ટર જનરલ ઈન્વેસ્ટિગેશન અને CCIT 1નો પણ વધારાનો ચાર્જ સંભાળશે.
મુંબઈના PCCITનો હવાલો હાલ પુરતો શ્રી પતંજલિને આપવામાં આવ્યો છે. જે CCIT-2 તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત રવીન્દ્ર કુમારને PCCIT કેરળ બનાવવામાં આવ્યા છે.
CCIT અધિકારીઓની પણ બદલી કરવામાં આવી
આ ઉપરાંત દેશમાં 30 જેટલાં ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ ઓફિસરોની પણ બદલી કરવામાં આવી હતી. આ બદલીઓમાં અમદાવાદના CCIT 1 સુમંત સિંહાની બદલી જયપુર કરવામાં આવી હતી. આથી અમદાવાદ CCIT 1નો હાલ પુરતો એડીશનલ ચાર્જ અમિત જૈનને જ સોંપવામાં આવ્યો છે.