રાહુલ ગાંધીના ટ્વીટર એકાઉન્ટ લોક કરવા મામલે ચાવડાએ કહ્યું, અંગ્રેજો સામે પણ જ્યારે અવાજ ઉઠતો ત્યારે દબાવવાનો પ્રયાસ થતો હતો
ટ્વીટર વોર અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન
અંગ્રેજો સામે પણ જ્યારે અવાજ ઉઠતો ત્યારે દબાવવાનો પ્રયાસ થતો હતો
રાહુલ ગાંધીએ સત્ય અને લોકોના હિતોની વાત કરી છે
કોંગ્રેસના નેતાઓના એક પછી એક Twitter એકાઉન્ટ લોક થઈ રહ્યા છે. જે મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે. રાહુલ ગાંધીના ટ્વીટર એકાઉન્ટ લોક કરવા મામલે ચાવડાએ કહ્યું, અંગ્રેજો સામે પણ જ્યારે અવાજ ઉઠતો ત્યારે દબાવવાનો પ્રયાસ થતો હતો. રાહુલ ગાંધીએ સત્ય અને લોકોના હિતોની વાત કરી છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવારની વ્યથા વ્યક્ત કરી હતી. ટ્વીટર થકી રાહુલ ગાંધીને દબાવવાનો પ્રયાસ કરાયો છે. સરકાર ગમે એવા પ્રયાસો કરે પણ અવાજ ઉઠતો રહેશે. કાયદા વિરુદ્વ કૃત્ય થયું હોય તો કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ. ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયામાં કોમી લાગણી દુભાવતા કૃત્યો કર્યા છે.
રાહુલ ગાંધીનું એકાઉન્ટ લોક કર્યા બાદ ફરી શરૂ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ લોક કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ પણ લોક કરી દેવામાં આવ્યું હતું. જે અંગેની જાણકારી કોંગ્રેસે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. તેની સાથે જ પાર્ટીએ સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. કોંગ્રેસે ફેસબુક પર જણાવ્યું કે, અમે લડીશું, અમે લડતા રહીશું. ગુજરાત કોંગ્રેસનું ટ્વિટર હેન્ડલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જો કે, રાહુલ ગાંધીનું એકાઉન્ટ શરૂ કરી દેવાયું છે. રાહુલ સાથે નેશનલ કોંગ્રેસ, KC વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા અને રોહન ગુપ્તાનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ થયેલા છે. કોંગ્રેસ-ટ્વીટર વિવાદ વધુ વકર્યો હતો.
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ભરતસિંહ સોલંકીનું ટ્વીટર એકાઉન્ટ બંધ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાહુલ ગાંધીનું ટ્વીટ ભરતસિંહ સોલંકરીએ રી-ટ્વીટ કર્યું હતું. આ સિવાય કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ રોહન ગુપ્તાએ કહ્યું કે, ટ્વીટર સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે. તેણે દેશભરમાં અમારા નેતાઓ અને કાર્યકર્તાઓના 5,000 એકાઉન્ટ બ્લોક કર્યા છે. તેમણે સમજવું પડશે કે, અમને ટ્વિટર કે સરકાર દબાવી શકશે નહીં.
નોંધનીય છે કે, કોંગ્રેસે ઇન્સ્ટાગ્રામ ઉપરાંત ફેસબુક પેજ પર પણ એકાઉન્ટ લોક થવા અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ‘જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યાં ત્યારે અમે ભયભીત થયા નહોતા. તો હવે ટ્વીટર એકાઉન્ટ બંધ થવાથી શું ડરીશું. અમે કોંગ્રેસ છીએ, પ્રજાનો સંદેશ છીએ. અમે સતત લડતા રહીશું.
કોંગ્રેસના નેતાઓ દ્વારા જણાવ્યું કે, જો દુષ્કર્મની પીડીત બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો અપરાધ છે. તો આ અપરાધ અમે 100 વખત કરીશું. જય હિન્દ…સત્યમેવ જયતે… જ્યારે રાહુલ ગાંધી દ્વારા ગત સપ્તાહમાં દિલ્હી કેંટમાં થયેલા રેપ અને હત્યાનો શિકાર નવ વર્ષિય બાળકીના પરિવાર સાથેની તસ્વીર ટ્વીટ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પછી રાહુલ ગાંધીએ ટ્વિટ ડીલિટ કરી નાખ્યું હતું. આયોગે કોંગ્રેસ લીડર પર સગીર પીડિતાની પ્રાઈવસીનું ઉલ્લંઘન કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો!