કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુખ્યમંત્રી સમક્ષ સ્થાનિક ચૂંટણીમાં 27 ટકા OBCને પ્રતિનિધિત્વ આપવાની માંગ.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો મુખ્યમંત્રીને પત્ર
સ્થાનિક ચૂંટણીમાં 27 ટકા OBCને પ્રતિનિધિત્વ આપવા માંગ
ગુજરાતમાં OBC સમાજની 52 ટકાથી વધુ વસ્તી- અમિત ચાવડા
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBCના પ્રતિનિધિત્વની માંગ કરી છે. અમિત ચાવડાએ પત્રમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં OBC સમાજની 52 ટકાથી વધુ વસ્તી છે. દેશના સંવિધાને સામાજિક પછાત વર્ગને ન્યાયની ખાતરી આપી છે. સ્થાનિક ચૂંટણીમાં 27 ટકા OBCને પ્રતિનિધિત્વ આપવું જોઇએ. ચૂંટણીમાં અનામત નાબૂદીથી OBC સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. વિકસતી જાતિના હિતને નુકસાન થઇ રહ્યું છે.'
અગાઉ ઓબીસી અનામત બચાવોના કાર્યક્રમમાં કર્યા હતા પ્રહાર
ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જ્યારે સુરતની મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓએ ઓબીસી અનામત બચાવોના કાર્યક્રમમાં ઓબીસી સમાજને લઇને સરકાર પર કેટલાંક પ્રહારો કર્યા હતા.
અમિત ચાવડાએ આ કાર્યક્રમમાં પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં 52 % OBCની વસ્તી છે, છતાં OBCને યોગ્ય બજેટ કે યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી. OBC સમાજને ગ્રામ પંચાયત લેવલે સ્થાન નથી મળ્યું.' આથી, OBCને 27 % અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સરકાર પર પ્રહાર કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના શાસનમાં OBCને 1% રકમ ફાળવવામાં નથી આવી.
અગાઉ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી
રાજ્ય સરકાર દ્વારા SC STને બજેટ આપવામાં સ્થાન આપવામાં આવે છે તે રીતે OBCને પણ આપવામાં આવે. OBC સબ પ્લાન સમિતિ બનાબવામાં આવે તેવી માંગ કરી હતી.ઉપરાંત સરકારી ખાતામાં કોન્ટ્રાક્ટ ભરતી થાય તેમાં પણ OBC ને સ્થાન આપવામાં આવે. OBC સમાજની આ દરેક માંગ નહીં સંતોષાય તો રોડ પર ઉતરીને આંદોલન કરવાની પણ અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી હતી.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ લડાઇ રહેશે- અમિત ચાવડા
આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં માત્ર બે પક્ષ ભાજપ અને કોંગ્રેસને જ લોકો અપનાવશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ રહેશે. આ વખતનું ઇલેક્શન ઐતિહાસિક બની રહેશે. પરિવર્ત સર્જનારું ઇલેક્શન રહેશે.કોંગ્રેસ આ વખતે બહુમતી સાથે જીતી સત્તામાં આવશે. આપની જાહેરાતમાં ગુજરાતની જનતા નહીં ભોળવાય.'