બનાસકાંઠાઃ આચરવામાં આવેલા મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી બનાસકાંઠાના પીડિત ખેડૂતોની મુલાકાત લેશે. બનાસકાંઠાના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે ક્યારેય પણ મગફળી વાવી નથી તેમ છતા તેમના નામ પર મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમના ખાતામાં ખરીદીના નાણા જમા થયા અને કોઈકે ઉપાડી પણ લીધા.
બીજી વાત આ કૌભાંડમાં સામે આવી રહી છે કે વર્ષ 2017માં અહી સંપૂર્ણ પાક ધોવાયો હતો. તેના માટેનું 100 ટકા વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. જો પાક નિષ્ફળ ગયો છે તો આ 400 કરોડ રૂપિયાની મગફળી ક્યાથી આવી ? આ કૌભાંડમાં બનાસ ડેરીના સત્તાધીશો પર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
બનાસકાંઠામાં રૂ.400 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું: ચાવડા
રાજ્યમાં થયેલા મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા છે. ત્યારે હવે મગફળીકાંડ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી બનાસકાંઠાના થરાદ અને ભાભરની મુલાકાતે છે. ત્યારે હવે બનાસકાંઠાના ખેડૂતોના નામે ખરીદવામાં આવેલી મગફળી મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું હતું કે ગત વર્ષે આવેલી પૂરના કારણે બનાસકાંઠાના ખેડૂતોએ મગફળીનુ વાવેતર કર્યુ ન હતુ. સરકાર દ્વારા 400 કરોડ રૂપિયાની ખરીદી કરવાનુ કાગળ પર નોંધવામાં આવ્યુ છે. સરકાર દ્વારા 400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. સરકાર દ્વારા અન્ય રાજ્યોના ખેડૂતો પાસેથી મગફળી ખરીદીવામાં આવી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે.
ત્યારે અનેક સવાલો થાય છે કે શું મગફળીને લઇને વધુ એક કૌભાંડ ? બનાસકાંઠામાં 400 કરોડનું કૌભાંડ કોની રહેમ નજર હેઠળ થયુ છે કૌભાંડ? સરકારે 400 કરોડની મગફળી ક્યાંથી ખરીદી? સરકારે બનાસકાંઠાના ખેડૂતો પાસેથી મગફળી નથી ખરીદી? તો ક્યાંથી આ મગફળીની ખરીદી કરાઈ છે? જે ખેતર ધોવાયા તેમના નામે કઈ રીતે થયો વહીવટ ? જે ખેડૂતોના બેંક ખાતાઓનો દુરુપયોગ થયો તે મૌન કેમ રહ્યાં? ખેડૂતોના નામે ખોટી રીતે કોણે કરી મગફળીની ખરીદી ? શું ખેડૂતોની જાણ બહાર તેમના નામે મગફળી વહેંચાઈ? શું રાજસ્થાનથી મગફળી ખરીદીને ટેકાના ભાવે વહેચવામાં આવી? જે ખેડૂતો ભોગ બન્યા તે અત્યાર સુધી મૌન કેમ રહ્યાં ? શું સરકારી અધિકારીઓ ખેડૂતોના નામે રૂપિયા ચાઉં કર્યા?