ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા આજે દિલ્લી જશે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી આજે દિલ્લીમાં હાઈકમાન્ડ સાથે બેઠક કરી શકે છે. આ બેઠકમાં હારના કારણોની રજૂઆત કરવામાં આવશે.
ગુજરાતમાં થયેલી કોંગ્રેસની હાર બાદ પોતાના રાજીનામાની રજૂઆત પણ કરી શકે છે. મહત્વનું છે કે પરેશ ધાનાણી આ અગાઉ રાજીનામું આપવાની રજૂઆત કરી ચૂક્યા છે. જ્યારે અમિત ચાવડાએ પણ હારની જવાબદારી સ્વીકારી હતી. આ અગાઉ પ્રદેશ કારોબારીમાં હારના કારણો અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી રાજ્યસભાની ચૂંટણી મામલે પણ માર્ગદર્શન મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાર બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠક મળી હતી. જેમાં હારના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. હારની સમીક્ષા માટે યોજવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના બે ધારાસભ્યો વગર મંજૂરીએ ગેર હાજર પણ રહ્યા હતા. આ બેઠક બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ ભલે ચૂંટણીમાં હારી હોય પણ લોકોના પ્રશ્ને વધુ મજબુત બનીને ઊભરી આવશે. આગામી દિવસોમાં વિશ્વાસુ નેતાઓને મજબુત બનાવવામાં આવશે. જે પણ નેતાઓ કોંગ્રેસ છોડીને જવા માગતા હશે તેને વાજતે ગાજતે વિદાય આપવામાં આવશે.
પ્રદેશ કોંગ્રેસની કારોબારીમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતા. જેમાં કારમી હાર બાદ કોંગ્રેસ લોકો વચ્ચે જઇને ધી પીપલ કાર્યક્રમ યોજશે. જ્યારે સંગઠનમાં રહેલી ઉણપો તાત્કાલિક દૂર કરાશે. લોકસભાની ચૂંટણીમાં હાર બાદ આ ઉપરાંત અમદાવાદમાં ગુજરાત પ્રદેશ સમિતિના કાર્યાલય પર કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં આગામી વિધાનસભા સત્રને લઇને ચર્ચા કરાઇ હતી.
આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા હાર પર મંથન કરવામાં આવ્યું હતું. કારોબારી બેઠકમાં સભ્યો, જિલ્લા અને શહેર પ્રમુખો હાજર રહ્યાં હતા. જ્યારે આ બેઠકમાં ગેરશિસ્ત કરનારા સામે તાત્કાલિક પગલા લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.