રાજ્યમાં માવઠાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળવાની શક્યતાઓ છે.
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી
48 કલાક બાદ માવઠાથી છુટકારો મળવાની શક્યતા
હાલ ઉનાળાના પ્રારંભમાં ચોમાસા જેવું વાતાવરણ છવાયેલું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાજકોટમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અંજાર અને પાલિતાણામાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જળવાઈ તો રહેવાનો જ છે, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ સાથે તૂટી પડે તેવી આગાહી છે. આ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
48 કલાક બાદ માવઠાથી મળશે છુટકારો
અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. આગામી બે દિવસ ભારે પવન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. જોકે, 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળવાની પણ શક્યતા છે.
અહીં પડી શકે છે વરસાદ
આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને કચ્છમાં વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
ત્રણ-ચાર દિવસ પછી ગરમીનો પારો ઊંચકાશે
અત્યારે બદલાયેલા વાતાવરણના કારણે સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘણું નીચે નોંધાઈ રહ્યું છે અને લોકોને ગરમી સામે ભારે રાહત મળી રહી રહી છે. પરંતુ ત્રણ-ચાર દિવસ પછી રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચકાશે અને તેમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોની હાલત કફોડી
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે ફાગણ મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મરચાની સિઝન ચાલતી હોઈ મરચા સહિત અન્ય મસાલાના ભાવ પણ ગૃહીણીઓને દઝાડી રહ્યા છે. આ કમોસમી વરસાદથી કેરીના પાકને પણ ખાસ્સું એવું નુકસાન થયું છે. આ બધા કુદરતી મારથી મોંઘીદાટ થયેલી ખેતીથી પરેશાન ખેડૂત છેક ગળા સુધી આવી ગયો છે અને રાહત પેકેજની રાહ જોઈ રહ્યો છે.