કોરોનાકાળમાં વધતા કેસોની વચ્ચે લગ્નપ્રસંગ અને મેળાવડાને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી. SCએ કહ્યું દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વણસી રહી છે પરિસ્થિતિ. કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને અસમ પાસેથી કોરોના અંગે રિપોર્ટ માંગ્યો હતો અને આ રિપોર્ટ શુક્રવાર સુધીમાં રજૂ કરવાનું સૂચન કર્યું હતું.
દિલ્હી-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછોળો
સુપ્રીમ કોર્ટે ત્રણયે સરકાર પાસેથી માગ્યો જવાબ
લગ્નપ્રસંગ અને મેળાવડાને લઈને SCએ ગુજરાત સરકારની કાઢી ઝાટકણી
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે. આ દરમિયાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોના કેસમાં મટો ઉછોળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધ્યો છે.
3 રાજ્યો પાસેથી સુપ્રીમે માગ્યો રિપોર્ટ
કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં સંપૂર્ણ આદર સાથે શરીરના અંતિમ સંસ્કારના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન કોર્ટે દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને કોરોનાના વધતા જતા કેસો પર સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે.
રિપોર્ટ આપો શું કામગીરી કરી : SC
સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામ એમ ચાર રાજ્યો પાસેથી કોરોનાની કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ બેકાબૂ બની રહી છે ત્યારે આ રાજ્યો 2 દિવસમાં રિપોર્ટ સબમીટ કરે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે.
છેલ્લાં 5 દિવસમાં ગુજરાતમાં રોજના 1400થી વધુ કેસ
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારે અમદાવાદમાં 2 દિવસનું કર્ફ્યુ લગાવ્યા બાદ ચાર મહાનગરોમાં અચોક્કસ મુદ્દતનો રાત્રિ કર્ફ્યૂ પણ લાગુ કરી દીધો છે. રાજ્યમાં કોરોનાના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 5 દિવસમાં 1400થી વધુ રોજના કેસ આવી રહ્યાં છે.
તારીખ
કેસ
સાજા થયાં
મોત
2020-11-18
1281
1274
8
2020-11-19
1340
1113
7
2020-11-20
1420
1040
7
2020-11-21
1515
1271
9
2020-11-22
1495
1167
13
અમદાવાદમાં પરિસ્થિત વધારે ખરાબ
જ્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં રોજના 300થી વધુ કેસ થઈ ગયા છે. છેલ્લાં 5 દિવસમાં 1507 કેસ નોંધાયા છે, જ્યારે 24ના મોત થયા છે. અમદાવાદમાં કુલ મૃતાંક 1969 પર પહોંચ્યો છે ત્યારે તંત્રએ અહીં આકરા પગલા લેવાની ફરજ પડી છે.
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં સ્થિતિ વણસી
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો 2 દિવસ સુધી કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન રાબેતા મુજબ થશે તેવી જાહેરાત કરી હતી. સાથે યુવાનોને પણ બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.
24 કલાક દરમિયાન 13 દર્દીઓના થયાં મોત
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે રવિવારે રાજ્યમાં 1495 કેસ નોંધાયા છે.નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1167 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,79,953 પર પહોંચ્યો છે. 24 કલાક દરમિયાન 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3859 પર પહોંચ્યો છે.