કેન્દ્ર સરકારને વિકાસની હરણફાળ વચ્ચે જો કોઈ મસલો સતાવી રહ્યો હોય તો તે ચિંતાનો વિષય છે ઈંધણની કીંમતોમાં દિવસેને દિવસે થઈ રહેલો વધારો. વિપક્ષ સહિત વાહનચાલકોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને લઈ ભારે રોષની લાગણી છે. તેવામાં કેન્દ્રની મોદી સરકારે બુધવારે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે.જેમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કેવી રીતે રાહત આપી શકાય તે અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
મહત્વનું છે કે કેબિનેટ બેઠક બાદ તમામ સિનિયર નેતાઓની હાજરીમાં ઈંધણની કિંમતોમાં ઘટાડા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.વિરોધના સુર વચ્ચે કેન્દ્ર સરકાર યોગ્ય વિકલ્પો રજૂ કરવા અને ચર્ચા કરવા આખરે તૈયાર પણ થઈ છે. જોકે અહીં એ જાણવું પણ એટલું જ જરૂરી બને છે કે કુલ 22 રાજ્યોમાં ભાજપનું શાસન છે. જો આ તમામ રાજ્યોમાં પણ એક્સાઈઝ અને વેટના દરોમાં ઘટાડો કરવામાં આવે તો વાહનચાલકોને ઘણે અંશે રાહત મળી શકે તેમ છે.
આપને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલ વધારા મામલે મંગળવારના રોજ કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સરકારી ઓઇલ કંપનીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.જેમાં કાંઇ ખાસ નિર્ણય લેવાયો હોય તેવી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ શકી ન હતી.
ત્યારે તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ભારતના વડાપ્રધાને આ મામલે હસ્તક્ષેપ કરીને બુધવારે ખાસ બેઠક બોલાવી છે. જેમાં આ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ ભાવ મુદ્દે કોઇ ખાસ ફેંસલો આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. જો કે આવનારો સમય જ કહેશે કે વડાપ્રધાનનો આ હસ્તક્ષેપ પ્રજા માટે કેટલો ઉપયોગી થાય છે.